શહેરમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો તેમ એક પછી એક હત્યાની ઘટના સામે આવી રહી છે. બોપલમાં મયંકગીરી ગોસ્વામી તેમજ સિંગરવા રોડ પર થયેલ યુવકની હત્યાનો મામલો હજુ શાંત નથી પડ્યો ત્યારે આજે સવારે નારોલ વિસ્તારમાં એક વ્યકિતની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.
અમદાવાદમાં વધુ એક યુવકની હત્યા
નારોલમાં ગળુ કાપીને હત્યા કરી લાશ સળગાવી દીધી
યુવકની ઓળખ હજુ થઇ નથી
યુવકનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી તેની લાશને સળગાવી દેવાનો પ્રસાય કરવામાં આવ્યો છે. નારોલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. નારોલ વિસ્તારમાં આવેલી જૂની કોર્ટ પાછળ લક્ષ્મીનગર નજીક સામેના ખુલ્લા પ્લોટમાં એક યુવકની લોહીથી લથપથ હાલતમાં અડધી સળગાવી દીધેલી લાશ સ્થાનિકોએ જોઇ હતી.
સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાિલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મરનાર વ્યકિતને તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી તેની લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પોલીસને શંકા છે કે હત્યારાઓએ યુવકની હત્યા કરી હતી અને ત્યારબાદ તેની લાશને સળગાવીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હોઇ શકે છે. મરનાર વ્યકિત કોણ છે, તે ક્યાંનો રહેવાસી છે અને હત્યારા કોણ છે તે શોધવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.