અમદાવાદની વીએસ હોસ્પિટલ કોરોના કાળ પહેલા પણ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. વીએસ હોસ્પિટલની બેદરકારીના કારણે અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે ફરી આ વીએસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં સુવિધાના અભાવના કારણે ત્રણ લોકોના મોત થયા છે.
અમદાવાદની VS હોસ્પિટલની ગંભીર બેદરકારી
સગર્ભા મહિલા અને ગર્ભસ્થ જોડિયા શિશુના થયા મોત
હોસ્પિટલમાં સુવિધા ન હોવાથી ડોક્ટરે મહિલાને ન કરી હતી દાખલ
અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલમાં એક સગર્ભા મહિલા સારવાર માટે 1 કલાક સુધી ટળવળતી રહી પરંતુ તેમને સારવાર ન મળી. જેને લઇ સગર્ભા મહિલા અને ગર્ભસ્થ જોડિયા શિશુના હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયા છે.
મેયર સહિત AMCના અધિકારીઓનું મૌન
મળતી માહિતી મુજબ 108 મારફતે ગર્ભસ્થ મહિલાને વીએસ હોસ્પિટલમાં લવાઈ હતી. હોસ્પિટલમાં સુવિધા ન હોવાથી ડૉક્ટરે મહિલાને દાખલ કરી ન હતી. અન્ય હોસ્પિટલમાં સારવાર મળે તે દરમિયાન મહિલાનું મોત થયુ હતું. આ સમગ્ર મામલે મેયર સહિત AMCના અધિકારીઓએ મૌન સેવ્યુ છે. વિપક્ષના નેતાએ ગંભીર બેદરકારી મામલે તપાસની માગ કરી છે.
કોંગ્રેસ ધારાસભ્યએ કરી વીએસના સત્તાધીશો સામે કાયદાકીય કાર્યવાહીની માંગ
આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વીએસના સત્તાધીશો સામે કાયદાકીય પગલા ભરવાની માગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, દરિયાપુરમાં ડબગરવાડમાં રહેતી મહિલા ગર્ભવતી હોવાના કારણે તેમને પ્રસવપીડા શરૂ થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે જૂની વી.એસ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર કરવા ડોક્ટર એક-બીજાને ખો આપતા રહ્યા હતા. વીએસ હોસ્પિટલ દ્વારા મહિલાને સારવાર આપવાની મનાઈ કરવામાં આવી હતી. જેથી મહિલાનું મોત થયુ હતુ.