અમદાવાદના વેજલપુરમાં લોન મામલે દંપતીના ત્રાસ અને ઉઘરાણીથી કંટાળી આધેડે અંતિમ પગલું ભર્યું છે.
હું શાંતિથી જમી પણ નથી શકતો, સૂઈ પણ નથી શકતો
સુસાઇડ નોટ લખી આધેડનો આપઘાત
દંપતીના ત્રાસથી ટૂંકાવ્યું જીવન
હજુ પણ પોલીસની પકડથી દૂર છે આરોપી
વેજલપુર વિસ્તારમા દપંતીના કારણે એક આધેડે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે જે બાદ ગામમા ચકચાર મચી ગઈ છે. જાણીતા દપંતીએ વ્યક્તિના ક્રેડીટકાર્ડથી લોન લઈને હપ્તા નહીં ભરી ઠગાઈ કરી. જે બાદ બેન્કની ઉઘરાણીથી કંટાળીને આધેડે આપધાત કરતાં પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જોકે હજુ સુધી ગુનેગારો પોલીસની પકડથી દૂર છે. પરિવારનો આક્ષેપ છે કે ફરિયાદને બે દિવસ પૂરા થયા છતાં હજુ સુધી પોલીસ આરોપીને પકડી નથી શકી.
દંપતીના ત્રાસથી કંટાળીને આધેડ વ્યક્તિનો આપઘાત
કદાચ હુ આ પૃથ્વી પર ના રહુ તો યોગેશ શુકલાની જવાબદારી...અલવિદા. આ શબ્દો છે મહેન્દ્રભાઈ ગોહિલના, જેમણે દંપતીના કારણે આપઘાત કરી લીધો. અંતિમ પત્રમાં આ દંપતીની કરતુતો લખીને ગંળે ફાંસો ખાઈ લીધો. ઘટનાની વાત કરીએ તો મૃતક મહેન્દ્ર ગોહેલ વસ્ત્રાપુરની ખાનગી કંપનીમા એમ સ્કેવર મીલેનીયમ પ્લાઝામા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા, તેમની સાથે નોકરી કરનાર યોગેશ શુકલા અને તેની પત્નીએ મિત્રતા કેળવીને મહેન્દ્રભાઈનો વિશ્વાસ મેળવી તેમની ક્રેડીટકાર્ડનો ઉપયોગ કરીને ઈલેક્રટીક વસ્તુઓ લોન પર લીધી. પરંતુ આ દપંતીએ વસ્તુઓની લોન નહીં ભરતા બેન્કમાંથી મહેન્દ્રભાઈ પર હપ્તાની ઉઘરાણી શરૂ થઈ. આ દપંતીએ કરેલી છેતરપીંડી અને બેન્કની ઉઘરાણીથી કંટાળીને મહેન્દ્રભાઈએ આપઘાત કર્યો. પરિવારના મોભીના આપઘાતથી હાલ તો પરિવાર આઘાતમા આવી ગયો છે અને ઠગ દંપતી વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
સુસાઇડ નોટ વાંચીને દ્રવી ઊઠશો યોગેશ શુકલા અને તેની પત્નીએ અલગ અલગ વસ્તુઓની લોન લઈ મારી સાથે છેતરપીડી કરી છે. છેલ્લા બે મહિનાથી તે બેન્કના હપ્તા ભરતા નથી એટલે બેન્કોવાળા મારા ઘરે આવીને ઉઘરાણી કરે છે. જેથી હુ કંટાળી ગયો છું, હું શાંતિથી જમી શકતો નથી, શાંતીથી સુઈ પણ શકતો નથી અને શાંતીથી નોકરી પણ કરી શકતો નથી. ઉપરોકત વ્યકિતની કારણે મારા સુખી-સંસારમા આગ લાગી છે. મારા ડોકયુમેન્ટ તેના મોબાઈલમાં છે. મારુ બેન્કનુ ક્રેડિટ કાર્ડ પણ તેની પાસે છે. આ મહિનાનો પગાર પણ તેને ઉઠાવી લીધો છે. હવે મારાથી સહન નથી થતુ, જેથી હુ આત્મહત્યા કરૂ છું. યોગેશ શુકલા અને તેની પત્નીને એવી સજા કરાવશો કે જેથી કરીને તેઓ મારા જેવા ભોળા અને નિર્દોષ લોકોને આવી રીતે છેતરપીંડી કરે નહીં.
ST-SC સેલને સોંપાઈ તપાસ
સમગ્ર કેસ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનના PI એચ જી પાલાચરીયાએ જણાવ્યું હતું કે આપઘાત કરતા પહેલા મહેન્દ્રભાઈએ પોતાની વેદના અંતિમચીઠ્ઠીમા ઠાલવી હતી જેના આધારે શુક્લા દંપતી વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વેજલપુર પોલીસ દ્વારા આત્મહત્યાના કેસની તપાસ ST-SC સેલને સોપવામા આવી છે. ST-SC સેલે હાલ તો આરોપીની શોધખોળની સાથે મૃતકના કંઈ કંઈ બેન્કના ક્રેડીટ કાર્ડથી કેટલી લોન લીધી. શું શું વસ્તુઓ ખરીદી છે. તે તમામ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.