અમદાવાદની સાબરમતી નદીમાં ગઇકાલે(27 ફેબ્રુઆરી) એક મહિલાએ આપઘાત કરી લીધો હતો. ત્યારે હવે આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે. આયશાએ આપઘાત પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો.
આયશાએ રિવરફ્રન્ટ પર આપઘાત કરી લેવાનો મામલો
દુષ્પ્રેરણા આરોપમાં પતિ અને સાસરિયા પકડવા પોલીસ ટીમ રાજસ્થાન મોકલાવશે
પોલીસે મૃતક આયશા ફોન માંથી ડેટા મેળવી વધુ તપાસ શરૂ કરી
આયશા નામની મહિલાએ આપઘાત કરતા પહેલા રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ સાથેના અણગમા વિશે અને હું ખુશ છું અલ્લાહ પાસે જઈ રહી છું, તેવુ કહેતી નજરે ચડે છે. બાદમાં મહિલાએ પોતાનો આ અંતિમ વીડિયો પોતાના પતિને મોકલ્યો હતો. ત્યારે હવે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દુષ્પ્રેરણાના આરોપમાં પતિ અને સાસરિયાના સભ્યોની ધરપકડ કરવામાં આવશે. પતિ, સાસરિયાને પકડવા માટે પોલીસ રાજસ્થાન જશે. પોલીસે આરોપીઓના લોકેશન ટ્રેસ કરીને પકડવાની તાજવીજ હાથ ધરી છે. પોલીસે મૃતક આયશાના ફોનમાંથી ડેટા મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ વટવા પોલીસ મથકમાં ડોમેસ્ટિક વાયોલેન્સ ફરિયાદ આયશાએ નોંધાવી હતી. જે કેસમાં પતિ, સાસુ-સસરા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આયશાએ આપઘાત કરી લેતા પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી દીધી છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદની એક દીકરીએ હસતા મોઢે આ ક્રુર દુનિયાને અલવિદા કહી દીધું. આજની આ 21મી સદીમાં પણ દહેજના લાલચૂઓએ પરીઓની જેમ ઉડવા માગતી આયશા નામની દીકરીને મોત વહાલું કરવા માટે મજબૂર કરી છે. હદ તો ત્યારે થઈ જ્યારે પતિને અંતિમ ફોન કર્યો કે, મને પરત લઈ જાઓ. તો પતિએ કહ્યું તું મરી જા.. અને આઈશાએ તેનું આ મેણું પુરુ કરવા માટે હસતા મોઢે વીડિયો બનાવી મોતને વહાલું કર્યું. ત્યારે કેવી છે આ હૃદય કંપાવનારી ઘટના જુઓ...
આ અંતિમ શબ્દો છે અમદાવાદની આઈશાના
જે પતિએ ત્રાસ આપ્યો, જે પતિએ પરિવાર પાસેથી લાખો રૂપિયા કરીયાવર માગ્યું, તે અત્યાચારી પતિને પણ પ્રેમના શબ્દો બોલી હસતાં..હસતાં પોતાના દર્દને છુવાપવાની કોશિશ કરતો વીડિયો બનાવીને આઈશાએ જિંદગીને અલવીદા કહી દીધું. આપણે જે કહાનીની વાત કરી રહ્યા છીએ તે અમદાવાદના વટવામાં રહેતી આઈશાની છે. જેણે સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી. અને આ પાછળનું કારણ બીજા કોઈ નહીં પરતું તે જેને હદથી વધુ પ્રેમ કરતી હતી તે જ તેનો પતિ છે.
આઈશાએ આ વીડિયો પોતાના પતિ સાથે વાત કર્યા બાદ બનાવ્યો હતો. પતિ સાથે વાત કરતા જ્યારે આઈશાએ કહ્યું કે, મને પરત નહીં લઈ જાઓ તો હું મરી જઈ, ત્યારે દહેજના લાલચૂ પતિએ તેને જવાબ આપતા કહ્યું કે તું મરીજા અને તેનો વીડિયો મને મોકલી આપજે.. બસ તેના શબ્દો જ આઈશાને મોતના દ્વારા સુધી લઈ જવા માટે કાફી હતા.. જોકે આઈશાએ આ અંગે પોતાના પિતા સાથે પણ અંતિમ વખત વાત કરી હતી.
આઈશાની પિતા સાથેની આ વાતચીત જ જણાવે છે કે, તે કેટલી હદે તૂટી ચૂકી હતી. જોકે આયશા રિવરફ્રન્ટ પર પહોંચી ત્યાર બાદ તેના માતા-પિતાએ કોઈ પગલું ન ભરે એ માટે સમજાવી. બાદમાં માતા-પિતા અને તેના ભાઈ તેને શોધવા નીકળ્યાં હતાં. થોડા સમય બાદ આયશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયારનગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યાં છે. પરિવાર સાથે પોલીસ અને ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ પહોંચી. પરંતુ તેઓ પહોંચે ત્યાં સુધીમાં તો આઈશા સાબરમતિમાં સમાઈ ગઈ હતી.
જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસે આઈશાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સ્થળ પરથી મળેલા પૂરાવા અને આઈશાના ફોનના આધારે તેના પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તેવામાં જોવાનું એ રહેશે કે, પોલીસ આ ક્રુર અને દહેજના લાલચુઓને કેવા પ્રકારનો પાઠ ભણાવે છે.