ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકોને કાળ ભરખી ગયો.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત
અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત
મૃતદેહોને નડિઆદ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં કારની અંદર સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. વિગતવાર જો અકસ્માતની વાત કરીએ તો, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક વડોદરા તરફ જતી એક કારને ગંભીર અકસ્માત નડ્યો છે. જેમાં કારમાં સવાર 4 લોકોને ઘટનાસ્થળે જ કાળ ભરખી ગયો.
મૃત્યુ પામેલ વ્યક્તિઓમાં 2 મહિલા, એક પુરુષ અને એક બાળકીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. આ તમામ મૃતકો અમદાવાદના વટવા વિસ્તારના રહેવાસી છે. હાલમાં તમામના મૃતદેહોને નડિઆદની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
તાજેતરમાં જ આ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું
મહત્વનું છે કે, રાજ્યમાં છાશવારે અકસ્માત થયાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે તાજેતરમાં થોડા દિવસો અગાઉ જ આ જ હાઇવે (Ahmedabad Vadodara Express Highway) પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર્ગો ટ્રેલર ટ્રક, ઓઇલ ટેન્કર અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઇ હતી.
આ અકસ્માતમાં ઉભેલી આઇશર ટ્રક સાથે એક ટ્રેલર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરમાં LPG સિલિન્ડર ફાટતા ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આથી ટ્રેલરના ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું.