અમદાવાદના વાડજમાં પ્રેમસંબંધને લઈને ઝઘડામાં એક મહિલાની હત્યા, પ્રેમી પંખીડાના સંબંધની જાણ પરિવારને થતા ઝઘડો થયો હતો જેમાં છોડાવવા જતાં મહિલાનું મૃત્યુ નિપજ્યું
પ્રેમસંબંધના ઝઘડામાં મહિલાની હત્યા
આરોપી પ્રીતમ સોલંકીની ધરપકડ
અન્ય 3 આરોપીઓ ફરાર
વાડજમાં પ્રેમસંબંધને લઈને થયેલા ઝઘડામાં એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રેમી પંખીડાના સબંધની જાણ પરિવારને થતા આંતરિક ઝઘડો થયો. જેઓને છોડાવવા જતા મહિલાનું મૃત્યુ થયું હતું. હાલ વાડજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પ્રીતમ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપીઓ હસમુખ સોલંકી, પૂનમ સોલંકી અને ચેતન સોલંકી હજુ ફરાર હોવાથી તેમની ધરપકડને લઈને તપાસ શરૂ કરી છે.
આરોપી પ્રીતમ સોલંકીએ એક મહિલાને માર મારીને હત્યા કરી છે. કારણ કે, તેના ભાઈનું એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. ઘટના એવી છે કે વાડજમાં ચિરાગને પાડોશમાં રહેતા હસમુખ સોલંકી, પ્રીતમ સોલંકી, પૂનમ સોલંકી અને ચેતન સોલંકી મારી રહ્યા હતા. ત્યારે ભણીયાને માર ખાતા જોતા ગૌરીબેન તેમને છોડાવવા વચ્ચે પડ્યા. ત્યારે હસમુખ સોલંકીએ ગૌરીબેનને લાત મારતા તેઓ નીચે પટકાયા હતા. અને પ્રીતમે તેમના મોઢાના ભાગે ફેંટો મારી હતી. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગૌરીબેન સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યા કેસમાં પ્રીતમ સોલંકીની ધરપકડ કરી.