અમદાવાદના નિકોલમાં વ્યાજખોરે વેપારીને પ્રથમ માળેથી નીચે ફેંકી દીધાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના CCTV પણ સામે આવ્યા છે.
નિકોલના સ્પા સંચાલક પર વ્યાજખોરનો હુમલો
પ્રથમ માળેથી ધક્કો મારતા સ્પા સંચાલકનું મૃત્યુ
સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા આરોપીની શોધખોળ
ગુજરાતમાં છેલ્લાં કેટલાય દિવસથી વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે આત્મહત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. પરંતુ અમદાવાદના નિકોલમાં તો એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પઠાણી ઉઘરાણી કરવા આવેલા વ્યાજખોરો દ્વારા વેપારીને મુક્કો મારીને પ્રથમ માળેથી નીચે ફેંકી દેવાની ઘટના સામે આવી છે.
વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા માટે વ્યાજખોર મૃતકની દુકાને આવ્યો હતો
મળતી માહિતી મુજબ, વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા માટે વ્યાજખોર મૃતકની દુકાને આવ્યો હતો. આ દરમિયાન વ્યાજખોરોએ સ્પા સંચાલક અમિતને પહેલા માળેથી નીચે ફેંકી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યાર બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. વ્યાજખોરોના આતંકની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે, પરંતુ મુખ્ય આરોપી કાંચો હજુ ફરાર છે.
હોસ્પિટલમાં સારવાર દરમ્યાન વેપારીનું મોત નિપજ્યું
વધુમાં તમને જણાવી દઇએ કે, શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા વેપારી અમિત શાહે ઘંધા માટે ચાર વર્ષ પહેલા કાંચા ઉર્ફે મિર રાણા પાસેથી એક લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. વેપારીએ રૂપિયા વ્યાજે લીધા બાદ કાંચો ઉર્ફે મિર રાણા વેપારી પાસે અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો. આ વ્યાજની ઉઘરાણી કરવા કાંચો અમિત શાહની દુકાને આવ્યો અને તેઓ રેલિંગમાં બેઠા હતા ત્યારે મુક્કો મારીને પહેલા માળેથી તેને નીચે ફેંકી દીધો. જો કે આ ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી. બાદમાં ઇજાગ્રસ્ત અમિતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પા અને બ્યુટીપાર્લરનું સંચાલન કરનાર અમિત શાહને કાંચા ઉર્ફે મિર રાણાએ વ્યાજે રૂપિયા આપ્યા હતા. જેના વ્યાજનું ચૂકવણી કરવા અમિત ફાયનાન્સ કનુભાઈ અને રાજભા પાસેથી ડેઇલી રિકરિંગથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા અને તે વીસ હજાર વ્યાજ પેટે કાંચાને ચૂકવ્યા હતા. હવે રાજભા અને કનુભાઈ પાસેથી ડેઇલી રિકવરિંગથી લીધેલા રૂપિયા ચૂકવવાનાં હતા પરંતુ વેપારી અમિત શાહને ધંધામાં મંદીના કારણે તેવો રાજભા અને કનુભાઈને પૈસા ન હોતા ચૂકવી શકતા. બીજી બાજુ કાંચો વ્યાજની ઉઘરાણી કરતો રહેતો. આથી, પૈસાની ઉઘરાણીની અદાવત રાખીને કાંચો હત્યાનો પ્રયાસ કરીને ત્યાંથી ફરાર થઇ ગયો. જ્યારે આ મામલે નિકોલ પોલીસે વ્યાજખોર કનુભાઈ અને રાજભાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મુખ્ય આરોપી કાંચા વિરુદ્ધ હત્યાનો પ્રયાસના અન્ય ગુનાઓ પણ નોંધાયા છે
તમને જણાવી દઇએ કે, મુખ્ય સૂત્રધાર આરોપી કાંચા ઉર્ફે મિર રાણા વિરુદ્ધ અમરાઈવાડી અને ખોખરામાં પણ હત્યાનો પ્રયાસ નોંધવામાં આવ્યો છે. તેની વિરૂદ્ધ પાલડીમાં પણ ગુનો નોંધાયો છે. હાલમાં આરોપી ફરાર થઇ જતા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી છે.