અમદાવાદમાં હવે અંડર એજ અને ડાર્ક ફિલ્મવાળા વાહનો લઈ નિકળનાર શખ્સોનો રીતસરનો મરો છે કારણ કે પોલીસ દ્વારા વધુ એક વખત ડ્રાઈવનું આયોજન કરાયું છે.
આજથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ
અંડર એજ વાહન ચાલકો સામે થશે કાર્યવાહી
ડાર્ક ફિલ્મવાળા વાહનો સામે પણ કાર્યવાહી થશે
અમદાવાદમાં ટ્રાફીકના નિયમોની ઐસીતૈસી કરી આડેધડ વાહન ચલાવતા શખ્સો સામે પોલીસ અવારનવાર લાલ આંખ કરી રહી છે. છતા આવા શખ્સો અટકવાનું નામ જ લેતા નથી ત્યારે આજે બુધવારથી વધુ એક વખત અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરાયું છે. આ ડ્રાઇવ તા. 15 થી 21 જૂન સુધી યોજાશે. પાંચ દિવસની ટ્રાફીક ડ્રાઇવમાં પોલીસ દ્વારા અંડર એજ વાહન ચાલકો અને ડાર્ક ફિલ્મવાળા વાહનો લઈ નિકળનાર સામે રીતસરનો સપાટો બોલાવવામાં આવશે.નિયમ ભંગ કરનાર સામે દંડ સહિતની કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવામાં આવશે.
તાજેતરમાં રોંગ સાઈડ અને HSRP નંબર પ્લેટ વિનાના વાહનચાલકો સામે કરાઇ હતી કાર્યવાહી
આ અગાઉ અમદાવાદમાં ગત તા.5 જૂનથી તારીખ 11 જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઇવ યોજાઇ હતી.જેમાં શહેરમાં ટ્રાફિક પોલીસે HSRP નંબર પ્લેટને લઈને ઝુંબેશ શરૂ કરાઇ હતી. એટલે કે શહેરમાં 11 જૂન સુધીમાં HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી. રોંગ સાઈડ અને HSRP નંબર પ્લેટ વિનાના વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા હતા.
વાહન-મોબાઇલ ચોરીની ફરિયાદ થઇ શકશે ઓનલાઇન
જ્યારે મોબાઈલ ફોન, લેપટોપ કે વાહન ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જતાં હોઈએ, ત્યારે અનેક વખત લોકો આરોપ લગાવતાં હોય છે કે, પોલીસ તેઓની ફરિયાદ નોંધતી નથી. અને ચોરીની ફરિયાદના પુરાવા રજૂ કરવાના નામે અનેક મહિનાઓ સુધી પોલીસ FIR નોંધતી નથી. જો કે, હવે આ તમામ આરોપોનો હવે અંત આવી જશે, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 'E-FIR' પ્રોજેક્ટ અંતર્ગત હવે વાહન, મોબાઈલ કે લેપટોપની ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકાશે. ગૃહ મંત્રાલાય તરફથી એક નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં વાહન-મોબાઇલ ચોરીના કેસમાં e-FIR કરી શકાશે. તેમ જણાવાયું છે.
'E-FIR' પ્રોજેક્ટ હેઠળ નાગરિકો ઘરે બેઠાં કરી શકશે ફરિયાદ
'E-FIR' પ્રોજેક્ટ હેઠળ નાગરિકો ઘરે બેઠાં કે ચોરીના ઘટનાસ્થળે જ પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર વડે ઓનલાઈન ચોરીની FIR નોંધાવી શકશે. નાગરિકો પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપથી મદદથી ફરિયાદ કરી શકે છે. જેમાં એપ. પર રજિસ્ટ્રેશન બાદ ચોરીની વિગતો અપલોડ થઇ શકશે, મહત્વનું છે કે, e-FIRના 48 કલાકમાં તપાસ અધિકારી ફરિયાદીનો સંપર્ક કરશે. e-FIR સીસ્ટમાં અપલોડ થતાની સાથે જ અધિકારી અસાઇન થશે. જેની ફરિયાદીને ઇ-મેલ/SMSથી જાણ કરાશે. ઉલ્લેખનીય છે કે, e-FIR અંગે PIથી કમિશનર સુધીના અધિકારીની જવાબદારી નક્કી કરાઇ છે.