અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બે નિર્ણયો લેવાયા છે, જેનાથી શહેરની જનતા અને નોકરી વાંચ્છુક ઉમેદવારોને ફાયદો થશે. ત્યારે જાણો શું લેવાયા નિર્ણયો...
અમદાવાદ ટ્રાફિક પોલીસના 2 મહત્વના નિર્ણય
700 જેટલાં નવા TRB જવાનોની ભરતી કરાશે
ટ્રાફિક પોલીસ સોશિયલ પ્લેટફોર્મ પર વધુ એક્ટિવ
અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે અલગ અલગ નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બે એવા નિર્ણયો લેવાયા છે જેનાથી શહેરની જનતાને અને નોકરી વાંચ્છુક ઉમેદવારોને ફાયદો થશે. અમદાવાદમાં ભ્રષ્ટાચારી TRB જવાનો સામે ટ્રાફિક વિભાગે એક્શન લીધા છે. જેમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા 700 TRB જવાનોને છૂટા કરીને નવા 700 ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે. તો બીજી તરફ અમદાવાદ ટ્રાફિક પોલીસ ડિજિટલ બની છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ સોશિયલ મીડિયામાં એક્ટિવ
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્વીટર, ફેસબૂક સહિતના સોશિયલ પ્લેટફોર્મ પર વધુ એક્ટિવ થયું છે. લોકોને કોઈ કામ કે માહિતી માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ માહિતી આપશે. લોકો સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરિયાદ પણ કરી શકશે. દિલ્હીની એક કંપની સાથે અમદાવાદ ટ્રાફીક પોલીસ કરાર પણ કરશે. જેના કારણે લોકોને તમામ માહિતી પહોંચાડી શકાય. રસ્તો બંધ હોય કે કોઈ કામ ચાલુ હોય તે તમામ માહિતી મળી રહશે.
અમદાવાદીઓને શું થશે ફાયદો?
શહેરમાં કયો રસ્તો બંધ છે અને કયા રસ્તેથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાતા અભિયાનની માહિતી
અકસ્માતથી બચવા અને સચેત રહેવા જાગૃત કરવાની કામગીરી
તહેવારો, કાર્યક્રમ અંગેના જાહેરનામા
લોકોને કોઈ કામ, સમસ્યા હોય તો ટ્રાફિક પોલીસને આ માધ્યમથી ફરિયાદ મળશે
અમદાવાદમાં 700 ટ્રાફિક બ્રિગેડની ત્રણ વર્ષનાં કોન્ટ્રાકટ માટે ભરતી કરવામાં આવશે. જેને લઈને શારીરિક કસોટી લેવામાં આવશે. જેમાં પુરુષ ઉમેદવાર માટે 800 મીટર દોડ તથા મહિલા ઉમેદવાર માટે 400 મીટર દોડની પરીક્ષા લેવામાં આવશે. પુરુષ ઉમેદવારોને આ દોડ 190 સેકન્ડમાં તથા મહિલા ઉમેદવારોએ આ દોડ 105 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. આ સાથે પુરુષ ઉમેદવારોને 6 પુશઅપ અને 10 દંડની પરીક્ષા પણ આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક બ્રિગેડને 300 રૂપિયાના દૈનિક પગાર લેખે 28 દિવસનો TRBને પગાર આપવામાં આવે છે. આ પગાર અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવશે.
અમદાવાદમાં ભ્રષ્ટાચારી TRB જવાનો સામે ટ્રાફિક વિભાગ એક્શનમાં આવી છે. અમદાવાદમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા 700 જેટલાં TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. જવાનો સામે ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂંકની ફરિયાદો બાદ ટ્રાફિક વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આગામી સમયમાં 3 વર્ષના કોન્ટ્રાક્ટના આધારે 700 TRB જવાનોની ભરતી કરવામાં આવશે.