અમદાવાદથી બોટાદ અને ભાવનગર જતા પ્રવાસીઓ માટે અતિ મહત્વના ગણાતા રેલવેના બ્રોડગેજ પ્રોજેક્ટને એક વર્ષના વિલંબનું ગ્રહણ લાગ્યું છે. આ પ્રોજેક્ટ ડિસેમ્બર-૨૦૧૯માં પૂરો થવાનો હતો, પરંતુ બ્રોડગ્રેજ કન્વર્ઝનની કામગીરી જે રીતે ચાલી રહી છે તે જોતાં આ કામ સમયસર પૂરું થાય તેવી શક્યતા નથી. જેના કારણે હવે ટ્રેન શરૂ થાય તે માટે પ્રવાસીઓએ ઓછામાં ઓછું એક વર્ષ સુધી રાહ જોવી પડશે.
રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા થઈ રહેલા આ પ્રોજેક્ટનું કામ ઓગસ્ટ ૨૦૨૦માં પૂરું થાય તેવું નવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ અંગે રેલવે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગત વર્ષ દરમિયાન લોલિયા દ્વીપમાં વરસાદને કારણે રેલવે ટ્રેકને નુકસાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે વિકાસ નિગમને બોટાદ અમદાવાદ રેલવે મીટર ગેજ ટ્રેકને બ્રોડગેજમાં ફેરવવાનું કામ સોંપાયું છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતા ટ્રેક પર હજુ માટીકામ ચાલી રહ્યું છે.
અગાઉ તંત્ર દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે બોટાદ-અમદાવાદ વચ્ચે રેલવેની મીટરગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ છ મહિનામાં પૂર્ણ કરીને ડિસેમ્બર ૨૦૧૯થી ટ્રેન વ્યવહાર શરૂ કરાશે. અને ભાવનગર અમદાવાદ વચ્ચેની તમામ ટ્રેનો આ રૂટ પરથી ચલાવવામાં આવશે. હાલ અમદાવાદથી ભાવનગરની ટ્રેનો વાયા વીરમગામ સુરેન્દ્રનગરથી દોડાવવામાં આવે છે. જે રૂટ પણ લાંબો હોય વધારે સમય જતો હોય મુસાફરો કંટાળી જાય છે.
અમદાવાદ-ભાવનગર વચ્ચેનો રેલવે બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું કામ ચાલુ હોવાને કારણે અમદાવાદ-ભાવનગર વચ્ચે મુસાફરી કરવા ઈચ્છતા પ્રવાસીઓને આધુનિક સુવિધાવાળી ટ્રેનો હવે આ વર્ષે નહીં પણ આવતા વર્ષે મળશે. અમદાવાદથી ભાવનગર માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી શકાય તેવા ટાર્ગેટ સાથેની કામગીરી હજુ ચાલુ છે. રેલવે ટ્રેક ઉપર બોટાદથી હડાળા-ભાલ સુધીના ૪૦ કિ.મી.ના માર્ગ ઉપર એન્જિનનું ટેસ્ટિંગ પૂરું કરવામાં આવ્યું છે. આ ટ્રેકના બ્રોડગ્રેજ કન્વર્ઝનની કામગીરીમાં . ૬૫ ટકાથી વધુ કામ પૂરું કરાયું છે. પરંતુ આ કામગીરી આ વર્ષના અંતમાં પણ પૂરી થાય તેવી કોઈ શક્યતા નથી
અમદાવાદ-બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૨-૧૩માં મંજૂર થયો હતો. પ્રોજેક્ટની કિંમત તે સમયે ૮૦૦ કરોડ અંદાજવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટની કિંમત વધીને ૧૧૪૩ કરોડ થઈ છે. આ લાઈન ઉપર આવેલાં ૧૨ રેલવે સ્ટેશન નવાં રંગરૂપ ધારણ કરશે, જેમાં મોરૈયા, મટોડા, તગડી, ધંધૂકા, સરખેજ, બાવળા, ધોળકા અને ગોધનેશ્વરનો સમાવેશ થાય છે.
આ અંગે અમદાવાદ રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આ માર્ગ ઉપર ઈલેક્ટ્રિફિકેશનનું કામ બાકી છે. આગામી માસમાં વધુ ૨૦ કિ.મી.નો માર્ગ બ્રોડગેજ કન્વર્ઝન થવાની ગણતરી છે. જો કામગીરી સમયસર પૂરી થશે તો કુલ ૬૦ કિ.મી.નો માર્ગ બ્રોડગેજ ટ્રેક થશે. હાલમાં હવે વરસાદની સિઝન હોવાથી તેમાં અંતરાય આવી શકે છે.
આ કામગીરી આરવીએનએલ ઉપરાંતના એક યુનિટ દ્વારા અલગથી થશે. રેલવે તંત્ર દ્વારા ૯૭૫ કરોડ રૂપિયાના ખર્ચે લાઈનની કામગીરી માર્ચ ૨૦૧૯ સુધીમાં પૂરી કરવાનો ટાર્ગેટ હતો. જે વધારીને ડિસેમ્બર-૧૯ કરાયો હતો. જેમાં બજેટમાં પણ વધારો કરાયો હતો. આ રૂટ જયારે પણ શરૂ થશે ત્યારે અમદાવાદથી ભાવનગર પહોંચવા માટે ટ્રેનનું અંતર ૩૦ કિલોમીટરથી વધુ ઘટી જવાની સાથે પેસેન્જરો વધુ ઝડપથી પોતાની યાત્રા કરી શકશે.
આ રૂટ પર દોડતી મીટર ગેજ ટ્રેન ઓક્ટોબર ૨૦૧૭થી બંધ કરાઈ હતી. ટ્રેન બંધ થયા પછી ટ્રેક બદલવાની કામગીરી શરૂ કરાઈ છે. સૌરાષ્ટ્રની ટ્રેન જે હાલમાં બોટાદથી સુરેન્દ્રનગર, વીરમગામ થઈ અમદાવાદ આવે તે તે ટ્રેનોને બોટાદથી ભાવનગર થઈ સીધી અમદાવાદ લવાશે. જોકે હાલમાં મીટરગેજ લાઈન બંધ હોવાથી લોકોને ભારેમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાનગી વાહનોની ઉધાડી લૂંટનો ભોગ પણ પ્રવાસીઓ બની રહ્યા છે.