અમદાવાદ: શહેરને દબાણમુક્ત અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાએ અભૂતપૂર્વ મિશન આદર્યું છે. શહેરમાં ધડાધડ દબાણ અને આડેધડ પાર્કિંગ કરનારાઓમાં ભય ફેલાઈ ગયો છે.
આજે અમદાવાદના માર્ગોના દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે હાઈકોર્ટની શિખામણ ઝાંપા સુધી જ નહીં પરંતુ શહેરની ગલીઓથી માંડી હાઈવે સુધી પહોંચી ગઈ છે.
દાયકાઓ બાદ શહેરીજનોને મેગાસિટીના પહોળા રસ્તાઓનો નજારો જોવા મળી રહ્યો છે. શહેરીજનો AMC કમિશનર અને પોલીસ કમિશનર પર અભિનંદની વર્ષા કરી રહ્યા છે. આ સાથે જ AMCનો હથોડો ક્યારે નેતાઓના દબાણો પર ઝીંકાશે એ દિવસની પણ રાહ જોઈ રહ્યા છે.
શહેરમાં આડેધડ પાર્કિંગ અને ધંધા-રોજગાર-રહેઠાણના ઠેકાણે કેટલાક લોકોએ ફૂટપાથ અને માર્ગો રોકી અંધાધૂંધી ફેલાવી હતી. જેની સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે.
AMCએ અભૂતપૂર્વ રીતે શહેરમાં દબાણ અને ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યુ છે તો શહેર ટ્રાફિક વિભાગે પણ રોડ પર શિસ્તના પાઠ શીખવાડી દીધા છે.
પરિણામે અમદાવાદના નાગરિકોને લાંબા સમયબાદ ખુલ્લા રોડ-રસ્તાના દર્શન થયાં છે. ટ્રાફિક અને દબાણોથી ધમધમતા વિસ્તારો હાલ કોઈ ટાઉનસીટીનો વિસ્તાર હોય તેવુ લાગી રહ્યુ છે. લોકો અને વાહન ચાલકો સરળતાથી રસ્તા પર હલન ચલન કરી શકે છે.
શહેરના મોટાભાગના નાગરિકો મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની કામગીરીથી ખુશ ખુશાલ થઇ ગયા છે. શહેરના કાલુપુર સારંગપુર સહીતના વિસ્તારમાંથી પસાર થવું એ એક અભિયાન પાર પાડવા જેવું કામ હતું.
ત્યારે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો કાલુપુરથી ખૂબ જ ઓછા સમયમાં ટ્રાફિક વગર પસાર થઇ શકાય છે. એટલું જ નહીં કાલુપુર વિસ્તારમાં આવેલા ચોખાબજાર વિસ્તારમાં પણ ટ્રાફિક નહિવત જોવા મળે છે. લોકો શહેર પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.
અમદાવાદ શહેર છેલ્લા ઘણા સમય થી આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યામાંથી પસાર થઇ રહ્યું હતું. દાયકાઓ વીતી ગયા શહેર હેરીટેજ મેગા સીટી અને મેટ્રો સીટી તરફ હરણફાળ ભરી રહ્યું છે.
ત્યારે ટ્રાફિકનો પ્રશ્ન દિવસે ને દિવસે વિકટ બની રહ્યો હતો. ત્યારે આ સમગ્ર બાબતો ગુજરાત હાઈકોર્ટમાં એક શહેરીજને જાહેરહિતની અરજી કરી અને ત્યારબાદ હાઈકોર્ટે કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગને ફટકાર લગાવી અને ત્યાર બાદ જે દ્રશ્યો સર્જાયા છે તે શેઠની શિખામણ જોઈને એવું લાગે છે કે શેઠની શીખામણ ઝાંપા સુધી નહીં પરંતુ અમદાવાન ગલીઓથી માંડી માર્ગો સુધી પહોંચી છે.
શહેરમાં લોકો આડેધડ પાર્કિંગ કરતા હતા. પરિણામે ટ્રાફિકજામની પરિસ્થિતિ પેદા થઇ હતી. પરંતુ હવે અગાઉની રપ પ્લોટમાં પે એન્ડ પાર્કિંગની જાહેરાત બાદ તંત્ર દ્વારા હવે વધુ 48 પ્લોટોમાં પે એન્ડ પાર્ક શરૂ કરવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે.
જેના કારણે તમામ ઝોનમાં સ્થાનિક સ્તરેથી વાહન પાર્કિંગના પ્લોટ મળી રહેશે. આનાથી નાગરિકોની વાહન પાર્કિંગની સમસ્યા પણ અમુક અંશે આગામી દિવસોમાં હળવી થશે. શહેરમાં હવે કુલ 73 પે એન્ડ પાર્કિંગની સુવિધા અમદાવાદીઓને મળશે.