ચોતરફ મંદીનાં આજનાં માહોલમાં લોકો ધંધો જમાવવા જાતભાતનાં ગતકડાં કરતાં હોય છે. એમાં કેટલાંક એવાં પણ ધંધાદારીઓ હોય છે, જે ઉધારિયા ગ્રાહકોથી કંટાળી ચૂક્યાં હોવા છતાં, સીધી રીતે તેમને ના પાડી શકતા ન હોવાથી નાછુટકે આડકતરો રસ્તો કાઢવો પડે છે.
અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલાં એક ટી સ્ટોલવાળાએ ઉધારિયા ગ્રાહકોથી પીછો છોડાવવા એક જુદો જ અખતરો કર્યો છે અને ઘણીખરી સફળતા પણ મેળવી છે. બન્યું હતું એવું કે, 2019 લોકસભાની ચૂંટણી ટાણે ઉધારિયાઓનો ત્રાસ વધી જતાં ધંધાને માઠી અસર પહોંચતી હતી. દરમિયાન બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાનો મુદ્દો ચર્ચામાં હતો.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ તેનાં માટે તૈયાર નહોતું આથી તેણે પોતાની દુકાન પર લખી નાખ્યું કે,જ્યાં સુધી બેલેટ પેપરથી ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉધાર માંગવું નહીં. તેની આ કરામતની ધારી અસર થઈ.
હવે જ્યારે પણ કોઈ ઉધારિયા ગ્રાહકો આવે છે ત્યારે તે દુકાન ઉપરનું લખાણ બતાવીને પીછો છોડાવી લે છે. શરૂઆતમાં સ્થાનિકો આખી બાબતને મજાકમાં લેતા હતાં પણ હવે તેઓ પણ તેની બુદ્ધિ પર ઓવારી ગયા છે.