કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડૉક્ટરો રેમડેસિવિર ઈન્જેક્શન લાવવાની સલાહ આપે છે. પરંતુ આ ઈન્જેક્શન મેળવવું લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. તો અમદાવાદ SVP હોસ્પીટલ બહાર લોકોએ હોબાળો કર્યો હતો.
SVP હોસ્પીટલ બહાર લોકોએ કર્યો હોબાળો
રેમડેસિવિર ઈન્જેક્શન ન મળતા હોબાળો થયો
4-5 દિવસથી ઈન્જેક્શન માટે ધક્કા ખવડાવતા લોકો વિફર્યા
અમદાવાદમાં કોરોનાના કહેરની વચ્ચે એક બાજુ હોસ્પિટલોમાં જગ્યાઓ નથી મળી રહી તો બીજી બાજુ રેમડેસિવિરના ઈન્જેક્શન માટે પણ લોકો વલખા મારી રહ્યા છે. પરંતુ પ્રશાસનના પેટનું પાણી પણ હલતુ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદની SVP હોસ્પિટલ બહાર રેમડેસિવિર ઇન્જેકશન ન મળતા લોકોએ હોબાળો કર્યો હતો.
હોસ્પિટલના સત્તાધીશો 4-5 દિવસથી ઇન્જેકશન માટે ધક્કા ખવડાવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. સાથે જ AMC સત્તાધીશો રેમડેસિવિરનો બારોબાર વહીવટ કરતા હોવાની ચર્ચા પણ જોવા મળી હતી. રોષે ભરાયેલા લોકોએ એક પણ દર્દીને રેમડેસિવિર ઇન્જેકશન ન અપાયાની ફરિયાદ કરી હતી. અત્યાર સુધી રેમડેસિવિર આપ્યા હોય તેવા દર્દીની યાદી રજૂ કરવાની પણ માગ કરી હતી.
ગુજરાત કોરોના અપડેટ(27-4-2021):
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં માર્ચ મહિનાથી કેસ વધી રહ્યા છે ત્યારે આજે 14352 નવા કેસ સામે આવ્યા છે જયારે 24 જ કલાકમાં સરકારી આંકડા અનુસાર 170 લોકોના મોત થયા છે. જોકે રાહતની વાત કહી શકાય કે રાજ્યમાં 24 કલાકમાં 7803 લોકો રિકવર પણ થયા છે.
કોરોનાની ગતિ ધીમી પડી!
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસના આંકડાઓની ગતિમાં ઘટાડો જોવાં મળ્યો છે. ગઇકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે. અગાઉ આ જ મહિનામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે.
ગુજરાતનો ચિતાર
રાજ્યમાં કોરોના વાયરસના સતત વધતાં કેસના કારણે અત્યારે 127840 એક્ટિવ કેસ છે જ્યારે તેમાંથી 418 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે તથા અત્યાર સુધીમાં 6656 ગુજરાતીઓ કોરોના વાયરસનો ભોગ બન્યા અને જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ અને સુરતમાં કાળ કોરોનાએ લોકોના જીવ લીધા
કોરોના વાયરસના કારણે સૌથી વધારે તાંડવ અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે 5669 કેસ નોંધાયા છે જ્યારે 26 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 1858 કેસ નોંધાયા છે અને 23 દર્દીઓના મોત થયા છે.