સતત વિવાદમાં સંપડાયેલી VS હોસ્પિટલ બાદ હવે નવી બનેલી અદ્યતન SVP હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે. હાલ દર્દીઓથી આ હોસ્પિટલ ઉભરાઇ ગઇ હોવાથી નવા દર્દીઓને સારવાર નથી મળી રહી.
સરકાર દ્વારા ગરીબ લોકોને સારવાર મળે તે માટે હોસ્પિટલની સુવિધા આપવામાં આવે છે. જોકે હોસ્પિટલના કર્મચારીઓ તે સુવિધાને લોકો સુધી પહોંચાડતા નથી. ત્યારે હવે અમદાવાદની SVP હોસ્પિટલની નફ્ફટાઈ સામે આવી છે.
SVP હોસ્પિટલમાં ઈમરજન્સીમાં સારવાર માટે આવેલા દર્દીને દાખલ ન કરવા માટે કહેવામાં આવ્યું. ICU ફુલ હોવાનુ કહીને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ન હતો. હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડે દર્દીને બારોબાર ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દર્દીના પરિવારજનોએ જબરદસ્તી હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન હોસ્પિટલમાં ડૉક્ટર જ હાજર જોવા મળ્યા ન હતા.
મહત્વનુ છે કે, તંત્ર દ્વારા નવી વીએસ હોસ્પિટલ બનાવવામાં આવી છે. હાલમાં જુની વીએસ હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા પણ નથી. તો બીજી તરફ હવે નવી બનાવવામા આવેલી SVP હોસ્પિટલમાં જગ્યા ન હોવાના બહાના કરવામાં આવી રહ્યા છે.
SVP હોસ્પિટલ પણ બેડ પડ્યા ઓછા
અમદાવાદમાં ગરમીના કારણે રોગચાળો વકર્યો છે. જેના કારણે હોસ્પિટલો દર્દીથી ઉભરાઇ રહી છે. હાલ SVP હોસ્પિટલ દર્દીઓથી હાઉસફૂલ થઇ ગઇ છે. દર્દીઓ વધતા SVP હોસ્પિટલના બેડ પણ ઓછા પડ્યા છે. SVP હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે કોઇ જગ્યા નથી જેને લઇ 24 કલાકમાં 10થી વધુ દર્દીઓને પરત મોકલી દેવામાં આવ્યા છે. 10 વોર્ડના 300 બેડ અને 100 ICU બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જેને લઇ દર્દીઓને સારવાર વિના જ પરત જવું પડી રહ્યું છે.
અનેક દર્દીઓ સારવાર વિના પરત ફર્યા
કરોડોના ખર્ચે બનાવેલ SVP હોસ્પિટલ હાઉસફૂલ થતા દર્દીઓને સારવાર લીધા વગર જ પાછા જવું પડી રહ્યું છે. 108માં આવેલ 10થી વધુ દર્દીઓ આઈસીયુ અને ઓપીડી ફૂલ હોવાથી પરત ફર્યા હતા. SVP હોસ્પિટલના 10 વોર્ડમાં આવેલ 300 બેડ અને આઈસીયુ બેડ ખાલી ના હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે હવે દર્દીઓએ સારવાર લીધા વિના જ પરત ફરવું પડે છે. ત્યારે અદ્યતન હોસ્પિટલમાં બેડની અછત મામલે સુપ્રિટેન્ડન્ટનું કેહવું છે કે હોસ્પિટલમાં વધુ પડતા દર્દીઓ સારવાર માટે આવતા આ સ્થિતિ સર્જાઈ છે.
17 ડૉક્ટરોને ટી.બી.ની બીમારી
થોડા દિવસ અગાઉ SVP હોસ્પિટલના 17 ડૉકટરોને ટી.બી.ની બીમારી હોવાનું સામે આવ્યુ હતું. SVP અને VSમાં ફરજ બજાવતા 17 ડૉક્ટરો પોતે જ બીમાર છે. મળતી માહિતી મુજબ કુલ 17 ડૉક્ટરો ટીબીની બીમારી હોવાથી રજા પર ઉતર્યા છે. જેમાં 2 ડૉક્ટરો પીડીયાટ્રીકમાં, 7 ડૉક્ટરો મેડીસીનના, 2 એનેસ્થેસિયામાં અને સર્જરીના 3 ડૉક્ટરો ટી.બી.ની બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યારે દર્દીઓની રાત-દિવસ સારવાર કરતા ડૉક્ટરો જ પોતે બીમાર પડ્યા છે. જેને લઈને દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે, ડૉક્ટરો ટીબીથી પીડિત હોવા છતાં તંત્ર પણ અજાણ હોવાનું સામે આવ્યુ છે.