રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ બાદ 3 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાઈ શકે છે. કોરોનાની સ્થિતિને લઇને હજુ પણ સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહી શકે છે. હાલ કોરોના વેક્સિનના આવવાના સંકેત મળી રહ્યા છે ત્યારે આ વેક્સિનેશન પહેલા રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવી શકે છે. જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આજે રાજ્ય સરકારની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુના મોટા સમાચાર
રાત્રિ કર્ફ્યુ લંબાવાઈ શકે છે
કોરોના ન વકરે તે હેતુથી લેશે નિર્ણય
ગુજરાતમાં વધતા કોરોના વાયરસના સંક્રમણને લઇને રાજ્યના 23 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી 4 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું. ત્યારે હજુ અમદાવાદ રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યું છે. તો હવે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લંબાવાઇ શકે છે. 31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવવાની વિચારણા ચાલી રહી છે. આવતીકાલે રાત્રિ કર્ફ્યૂ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. વેક્સિનેશન પહેલા કોરોના ન વકરે તે માટે રાત્રિ કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લેવાઈ શકે છે. હાઈપાવર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશેઃ અમદાવાદ પોલીસ કમિશનર
કોરોનાની સ્થિતિને લઇને અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવાયુ છે. આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે. મહત્વનું છે કે, અમદાવાદમાં આવતીકાલે રાત્રિ કર્ફ્યુ પૂર્ણ થવાનું હતું. જોકે તેના એક દિવસ પહેલા જ શહેર પોલીસ કમિશનર દ્વારા કર્ફ્યુ યથાવત્ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
15 દિવસ માટે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 સુધી લગાવાયું હતું રાત્રિ કર્ફ્યુ
રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવાયો હતો. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લગાવાયો છે. આ સમય દરમિયાન જાહેર જગ્યાઓ પર અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. મહત્વનું છે કે, 23 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી 15 દિવસ માટે 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ફરજિયાત માસ્ક પહેરવા, હાથ ધોવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. છતાં પણ લોકો હજી પોતાની બેદરકારી બતાવી રહ્યા છે અને માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળી જાય છે. એટલું જ નહીં રાત્રિ કર્ફ્યૂની સ્થિતિમાં પણ લોકો બહાના કાઢીને બહાર ફરી રહ્યા છે, જોકે તેમની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.