રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ મુદ્દે બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે.
મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે
રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે
28 ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. તો મહાનગરોમાં પણ કોરોનાના કેસ ઘટ્યા છે. જેને લઇને રાત્રિ કર્ફ્યુ હટાવવું કે નહીં તે અંગે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જે DyCM નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ, ગૃહ વિભાગના ACS પંકજકુમાર, CMના અંગત સચિવ મનોજ દાસ, DGP હાજર રહ્યા હતા.
આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રાખવામાં આવશે. જોકે રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત આપવામાં આવી છે. હવે રાતે 11 વાગ્યાને બદલે રાતે 12 વાગ્યાથી કર્ફ્યૂ લાગૂ થશે. જેમાં રાત્રિના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. જે 28 ફેબ્રુઆરી સુધી નિયમ લાગુ રહેશે.
21એ ચૂંટણી અને 24એ ક્રિકેટનું આયોજન
મહત્વનું છે કે આગામી 21 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમ ખાતે ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજાવાની છે. જેને લઇને રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની છૂટ આપવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે.