મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેક ૧૯૬રમાં બનેલા સાબરમતી નદી પરના સુભાષબ્રિજને લગભગ અઢી મહિના સુધી દર રવિવારે તેના એક્સપાન્શન જોઇન્ટ અને બેરિંગ બદલવાની કામગીરી માટે વાહન-વ્યવહાર માટે પૂર્ણ પણે બંધ રખાશે. દર રવિવારે સુભાષબ્રિજનો ઉપયોગ કરતા તમામ પ્રકારના વાહનોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે.
સાબરમતી નદી પરનાં પ૮ વર્ષ જૂના સુભાષબ્રિજનાં એકસપાન્શન ગેપ પહોળા થયા હોઇ બ્રિજના ઉપરના ભાગમાં મોટી તિરાડો પડી છે. આ તિરાડો વાહનચાલકો માટે ભયજનક બની છે. તંત્રના એક સર્વે મુજબ સુભાષબ્રિજના નાના-મોટા બેરિંગની પોઝિશન બદલાઇ હોઇ ૪૦ એમએમનો એકસપાન્શન ગેપ વધી જઇને ૬૦ એમએમથી વધુ થઇ ગયો છે.
જેના કારણે સુભાષબ્રિજ પરથી વાહન ચલાવવું ખાસ કરી ટુ વ્હીલરચાલકો માટે ભારે જોખમી બન્યું છે. સત્તાવાળાઓએ સુભાષબ્રિજના સર્વેની કામગીરી હેઠળ તેના બેરિંગની પોઝિશન બદલાઇ ગઇ હોય તેને યોગ્ય પોઝિશનમાં મૂકીને તેમજ ગ્રીસિંગથી સાફ કરીને બેરિંગની મૂવમેન્ટને સરળ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
આ માટે આગામી રવિવારથી કામગીરીનો આરંભ કરાશે. સુભાષબ્રિજ ગુજરાત એસ.ટી. સહિતના વાહનોની અવરજવર માટે ઉપયોગી હોઇ તંત્રએ આ કામગીરી માટે ખાસ રવિવારને પસંદ કર્યો છે. આગામી ર૦ ઓકટોબર ર૦૧૯ સુધી દર રવિવારે સવારે ૬ થી બીજા દિવસે સવારે ૪ વાગ્યા સુધી એમ કુલ રર કલાક તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ રખાશે.
શાહીબાગ તરફથી આવતા અને આરટીઓ તરફ જતા હળવાં વાહનો દ્વારા સુભાષબ્રિજના બંને એપ્રોચ પૈકી શાહીબાગ તરફ ઊતરતાં સ્વામિનારાયણ મંદિર પાસેથી સુભાષબ્રિજની બંને બાજુ આવેલા રિવરફ્રન્ટના રોડથી દધીચિ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે જ્યારે ભારે વાહનો દ્વારા શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસથી દધીચિ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. આરટીઓ સર્કલ બાજુના એપ્રોચ તરફથી આવતા ટ્રાફિકને શાહીબાગ તરફ જવા માટે આશ્રમરોડ પર થઇ દધીચિ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.
જાણકાર સૂત્રો વધુમાં કહે છે, તંત્ર દ્વારા સુભાષબ્રિજના એકસપાન્શન ગેપ રિપેરિંગ તેમજ બેરિંગ બદલવાની સ્પેશ્યલ પ્રકારની કામગીરીનો કોન્ટ્રાક્ટ મુંબઇની રિબિલ્ડ એસોસિયેટને અપાયો છે. આ માટે મ્યુનિ. તિજોરીમાંથી રૂ.ર.રપ કરોડ ખર્ચાશે.
સમગ્ર કામગીરીનું મોનિટરિંગ મલ્ટિ મીડિયા કન્સલ્ટન્ટ કરશે. સુભાષબ્રિજને રિપેરિંગ માટે ઊંચો કરવા ૧પ૦ ટનની ક્ષમતા ધરાવતા ૮ હાઇડ્રોલિક જેક મશીન તેમજ ર૦૦ મેટ્રિકટનની ક્ષમતા ધરાવતા ૧૪ હાઇડ્રોલિક જેક મશીનને કામે લગાડાશે.
સુભાષબ્રિજના રિપેરિંગ બાદ તંત્ર દ્વારા નહેરુબ્રિજના રિપેરિંગની કામગીરી આજ પ્રકારે હાથ ધરાશે. સુભાષબ્રિજના દાયકાઓ બાદ પહેલી વખત રીપેરીંગની કામગીરી હાથ ધરાનાર હોઇ ત્યાર બાદ આ બ્રિજ વાહનચાલકો માટે આગામી ૧૦ થી ૧પ વર્ષ સુધી સલામત રહેશે.