કોરોના નામની મહામારીએ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રની દશા સૌથી ખરાબ છે. ગુજરાતમાં પણ અમદાવાદના તો હાલ બેહાલ થઈ ગયા છે. ગુજરાતમાં સૌથી વધારે કેસ અને મોત અમદાવાદમાં થયા છે. ત્યારે અમદાવાદની સરકારી હોસ્પિટલની કોરોના પ્રત્યે બેદરકારી સામે આવી છે. શહેરમાં ટેસ્ટિંગ ન કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાના ટેસ્ટ માટે સરકારી ડોક્ટરે ઉડાઉ જવાબ આપ્યો હતો.
અમદાવાદ યુવકને કોરોનાનો ટેસ્ટ કરવાની ડૉક્ટરે ના પાડી દીધી
દવા આપી ડૉક્ટરે કહ્યું- વધારે થાય તો આવજો
યુવકને 5 દિવસથી શરદી, તાવ અને ગળાની તકલીફ
અમદાવાદના ન્યૂ રાણીપના યુવક રોહનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો લાગતા તે સોલા સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ માટે ગયો હતો. જ્યાંથી સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે ઉડાઉ જવાબ આપ્યો હતો. ત્યાંના ડૉક્ટરોએ તપાસ કરી યુવકનો ટેસ્ટ કરવાની ના પાડી દીધી હતી. દવા આપી અને આઇસોલેટ થવા માટે સૂચના આપી હતી. વધારે થાય તો આવજો. ત્યાં કોરોનાનાં ટેસ્ટની ના પડતા તે ઘરે આવી ગયો હતો. તેના ગળામાં તકલીફ વધતા તેમણે 104માં ફોન કરતા પણ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. મહત્વનું છે કે, આ યુવકને 5 દિવસથી શરદી, તાવ અને ગળાની તકલીફ છે.
આ અંગે રોહને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ મૂકી છે. ત્યારે અનેક સવાલ થાય છે કે સરકારી હોસ્પિટલો કેમ કોરોના પ્રત્યે બેદરકાર બની રહી છે? દર્દીને લક્ષણ હોવા છતાં પણ ટેસ્ટ કરવામાં આનાકાની કેમ કરાઈ રહી છે? શું તમારી આવી બેદરકારીને કારણે દર્દીને જીવનું જોખમ નહીં થાય? દર્દીના પરિવારને પણ આનાથી જીવનું જોખમ નહીં થાય? સરકારની ઉદાસીનતા બાદ હવે સરકારી હોસ્પિટલો પણ આમ કરે તો કેમ ચાલે? દર્દીએ લક્ષણોની ફરિયાદ કરી હોવા છતાં પણ ટેસ્ટ કરવામાં આનાકાની કેમ?