રાજ્ય સરકાર સંચાલિત સોલા ખાતેની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી કોરોનાના દર્દીઓની સારવાર થાય છે. મ્યુનિ. તંત્રના સત્તાવાર આંકડા મુજબ ગત તા.ર૦ ઓક્ટોબરની સ્થિતિએ સોલા સિવિલ હોસ્પિટલમાંથી કુલ ૩૪૬૭ દર્દીને કોરોનાની સારવાર બાદ ઘરે જવા રજા અપાઇ છે તો કોરોનાએ કુલ ૧૦૪ દર્દીનો ભોગ પણ લીધો છે.
ફાયર સેફ્ટીની એનઓસી મેળવવાની તસ્દી લેવાઇ નથી
જોકે સોલા સિવિલ હોસ્પિટલ કાયમ દર્દીઓથી ગાજતી હોવા છતાં આ સરકારી હોસ્પિટલના નઘરોળ તંત્રના કારણે ગમે ત્યારે શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડની જેમ આગ ફાટી નીકળીને તેમાં સારવારગ્રસ્ત દર્દીઓ ઉપરાંત ડોક્ટર, નર્સ સહિતનાે સ્ટાફ જીવતો ભુંજાઇ શકે તેમ છે. આનું એકમાત્ર કારણ એ છે કે શહેરની તમામ સરકારી હોસ્પિટલ પૈકી એકમાત્ર આ હોસ્પિટલમાં હજુ સુધી મ્યુનિ. ફાયર બ્રિગેડના ધારાધોરણ મુજબની ફાયર સેફ્ટીની એનઓસી મેળવવાની તસ્દી લેવાઇ નથી.
શ્રેય હોસ્પિટલમાં લાગી હતી ભીષણ આગ
નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ગત તા.૬ ઓગસ્ટની મોડી રાતે આઇસીયુ યુનિટમાં ભીષણ આગ લાગતાં આઠ કોરોનાના દર્દી પલંગ પર જ જીવતા ભડથું થઇ ગયા હતા. મ્યુનિ. તંત્ર દ્વારા ફાયર સેફ્ટીની એનઓસી વગર શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવાઈ હતી. તંત્રની ગંભીર ભૂલના કારણે આગના સમયે તેને બુઝાવવાનાં સાધન ન હોઇ આ હતભાગી દર્દીઓનાં કરુણ મોત થતાં સમગ્ર અમદાવાદ સ્તબ્ધ થઇ ગયું હતું. આખું આઇસીયુ યુનિટ આગમાં બળીને ખાખ થઇ જતાં ફાયર બ્રિગેડ વિભાગના જાંબાઝ જવાનો પણ નિઃસહાય બની ગયા હતા.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ખાનગી હોસ્પિટલ સાથે કોરોનાના દર્દીની સારવાર માટે એમઓયુ કરતાં તેમાં ફાયર સેફ્ટી એનઓસીની શરત જ રાખી ન હતી તેવો ઘટસ્ફોટ થતાં ગાંધીનગર પણ ચોંકી ઊઠ્યું હતું. ત્યારબાદ ગાંધીનગરના આદેશથી શહેરનાં તમામ હોસ્પિટલ-દવાખાનાંની ફાયર સેફટીની એનઓસીની ચકાસણી મ્યુનિ. ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરાઇ છે.
હાઇકોર્ટે હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફટી અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કરી લાલ આંખ
બીજી તરફ હાઇકોર્ટે પણ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડના પગલે રાજ્યભરની હોસ્પિટલ સહિત હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા સંબંધિત સત્તાવાળાઓ સામે લાલ આંખ કરી છે. આમાં જ્યાં સુધી અમદાવાદનો પ્રશ્ન છે તો સોલા સિવિલ હોસ્પિટલ આજે પણ કોવિડ હોસ્પિટલ હોવા છતાં ફાયર સેફ્ટી એનઓસી ધરાવતી નથી. તંત્રની અવારનવારની તાકીદ છતાં આ હોસ્પિટલના સત્તાવાળાઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યા નથી.
આ હોસ્પોટિલ-હોટલ પાસે નથી એનઓસી
જોકે હવે શહેરની અન્ય તમામ સરકારી હોસ્પિટલ અને ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીની એનઓસી છે. શહેરમાં કુલ ર૩૦૦ હોસ્પિટલ અને દવાખાનાં હોઇ તે પૈકી પ૦૦ હોસ્પિટલ-દવાખાનાં પાસે આજની સ્થિતિએ ફાયર સેફ્ટી એનઓસી ન હોઇ આ ગંભીર બાબત છે. જ્યારે શહેરમાં ૧ર૦૦થી વધુ હોટલ-રેસ્ટોરાં ધમધમતાં હોઇ તે પૈકી ૩પ૦થી વધુ હોટલ-રેસ્ટોરાં પાસે પણ ફાયર સેફ્ટીની એનઓસી નથી.
સુરતના બનાવ બાદ ટયૂશન કલાસીસની ફાયર સેફટીને અપાઇ રહ્યું વધુ મહત્વ
સુરતના તક્ષિશલા અગ્નિકાંડ પછી ટ્યૂશન કલાસીસની ફાયર સેફ્ટીને તંત્ર દ્વારા મહત્ત્વ અપાઇ રહ્યું છે. શહેરમાં ર૩૯૦ ટ્યૂશન કલાસીસ હોઇ તે પૈકી ૧૦૦થી વધુ ટ્યૂશન કલાસીસ પાસે ફાયર સેફ્ટી એનઓસી નથી, જોકે ટ્યૂશન કલાસીસના મામલે એકંદરે સંતોષજનક સ્થિતિ છે, જ્યારે તમામ સરકારી અને ખાનગી શાળા પાસે ફાયર સેફ્ટી એનઓસી છે.
તમામ પેટ્રોલ પંપ, તમામ મોલ-મલ્ટિપ્લેક્સ, પેટ્રોલ પંપમાં પણ તંત્રનાં નિયત ધારાધોરણ મુજબનાં ફાયર સેફ્ટીનાં સાધન બેસાડેલાં હોઇ તે ચાલુ હાલતમાં છે. ફટાકડાની તમામ દુકાન પણ આગની આકસ્મિક દુર્ઘટના સામે ફાયર સેફ્ટીનાં સાધનોથી લડત આપી શકે તેમ છે.
દરમિયાન અત્યારની કામગીરીને આટોપી લેવાયા બાદ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટી ચકાસાશે. દિવાળી આસપાસ તેમનો વારો આવે તેમ લાગે છે, જોકે હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટીમાં પણ અનેક પ્રકારનાં ધાંધિયાં છે.