એપાર્ટમેન્ટમા પેવર બ્લોકનુ કામ થયુ ન હોય અને અચાનક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિકાસ કાર્ય કર્યાનું બોર્ડ લગાવામા આવે તો ? અમદાવાદના ઓઢવ વોર્ડમાં આવુ જ કાંઇક બન્યું છે. એક એપાર્ટમેન્ટમાં ભાજપના ધારાસભ્યની ગ્રાન્ટમાથી પેવર બ્લોક નાંખવામા આવ્યા છે તેવુ બોર્ડ લગાડી દેવામા આવ્યું છે. જ્યારે રહીશોએ પેવર બ્લોક નહીં લગાયા હોવાની વાત કરતા બોર્ડ દુર કરી દેવાયું છે. આ સમગ્ર મુદે કૌભાંડ થયા હોવાનો આક્ષેપ સોસાયટીના લોકો કરી રહ્યા છે.
લાખો રૂપિયાનું પેવરબ્લોક કૌભાંડ
ગ્રાન્ટ ફાળવાઈ પણ પેવરબ્લોક ગાયબ!
લાખો રૂપિયાના કૌભાંડના આક્ષેપ?
અમદાવાદમાં ઓઢવ વોર્ડમા શુભ એપાર્ટમેન્ટ આવેલુ છે. આ એપાર્ટમેન્ટના રહીશોનુ માનીએ તો આજ દિન સુધી તેમના એપાર્ટમેન્ટમાં કોર્પોરેશન દ્વારા પવેર બ્લોક નાંખવામા આવ્યા નથી કે નથી ફલેટના રહીશો દ્વારા આ અંગે કોઇ એરજી કરવામા આવી. આમ છતા કોર્પોરેશનના ચોપડે પેવર બ્લોક નાંખવાનુ બોલી રહ્યુ છે.
કોર્પોરેશન દ્વારા એપાર્ટમેન્ટમાં બોર્ડ લગાવામાં આવ્યું હતું
સોસાયટીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા અચાનક કોર્પોરેશન દ્વારા એપાર્ટમેન્ટમાં બોર્ડ લગાવામાં આવ્યું હતું. જેમાં લખેલુ હતુ કે ઘારાસભ્ય જગદીશ પંચાલની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક નાંખવામા આવ્યા છે. આ માટે ઘારાસભ્યએ 4,95,000ની ગ્રાન્ટ ફાળવી છે. આ પ્રકારનુ બોર્ડ જોતા સોસાયટીના સભ્યો ચોકી ઉઠ્યા હતા. કારણ કે એપાર્ટમેન્ટમાં આ પ્રકારનુ કામ કરવામા આવ્યુ નથી કે તેની માટે માંગણી કરવામા આવી નથી.
કોંગ્રેસના કોર્પોરેટરે મેયર-શાસકપક્ષના નેતાને રજુઆત કરી છતા કોઇ પગલા નથી લેવાયા
આ અંગે રહીશો દ્વારા કોર્પોરેશન અને ઘારાસભ્યને રજુઆત કરાતા ગણતરીના સમયમા બોર્ડ ઉતારી લેવામાં આવ્યું. આ અંગે મોટુ કૌભાંડ થયુ હોવાની વાત સોસાયટીના લોકો કરી રહ્યા છે. તો આ અંગે વિરાટનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રણજીતસિંહ બારડે મેયર-શાસકપક્ષના નેતા તેમજ બોર્ડમાં રજુઆત કરી છે, પરંતુ કોઇ પગલા લેવામા આવ્યા ન હોવાની વાત કરી રહ્યા છે. કોર્પોરેટરનું કહેવુ છે કે જે એપાર્ટમેન્ટમા કોમન પ્લોટ જ આવેલ નથી તો ત્યાં કોમન પ્લોટમાં પેવર બ્લોકનુ કામ કઇ રીતે થાય?
આ કૌભાંડ અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થશે?
અહીં પ્રશ્ન એ થાય કે પેવર બ્લોકનું કામ થયું નથી તો તેના નાણાં ક્યા ગયા? આ કૌભાંડ અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થશે ખરી? જો એપાર્ટમેન્ટના રહીશો જાગૃત ન હોત તો શુ થાત? અન્ય કેટલી જગ્યાએ આ પ્રકારનુ કૌભાંડ કરવામા આવ્યું હશે?
મુખ્યમંત્રી વિજય રુપાણી પારદર્શક વહીવટની વાતો કરે છે, ત્યારે હવે જોવુ એ રહે છે કે શુભ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા પેવર બ્લોકના કૌભાંડમાં તપાસની માંગ કરવામા આવી છે, ત્યારે જવાબદારો સામે તપાસ થાય છે કે કેમ?