અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારની સામે ફાયર સેફર્ટીના મુદ્દે કેટલાક સવાલ ઉભા કર્યાં છે. કોવિડ -19ની સારવાર માટે જે હોસ્પિટલને મંજૂરી અપાઇ તે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોની ચકાસણી કેમ ન કરાઇ?
અમદાવાદ હોસ્પિટલ આગની ઘટના
અમિત ચાવડાએ ઉઠાવ્યા સવાલ
ફાયર સેફ્ટીની કેમ ન થઇ ચકાસણી?
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારી સારવાર ન મળતી હોવાથી લોકોને મજબૂરીથી લાખોના ખર્ચે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે. લાખોનો ખર્ચ કર્યા બાદ પણ દર્દીની સેફ્ટીની કોઇ જ ગેરેન્ટી નથી હોતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સુરત આગ જેવી ઘટનામાંથી પણ સરકાર કેમ કંઇ શીખતી નથી અને સમયાન્તર ફાયર સેફ્ટી નિયમનો ચકાસણી કરાવતી નથી. જેના કારણે આખરે સરકારની ઉદાસીન નીતિ ભોગ નિર્દોષ લોકો બને છે.
લોકોએ પોતાના પરિવાજનો ગુમાવ્યા છે. તેવામાં AMCમાં શાસક પક્ષના નેતા અમિત શાહે આ મામલે માહિતી મેળવી રહ્યા હોવાનો જવાબ આપ્યો હતો. અમદાવાદમાં આટલી મોટી ઘટના બની તેમ છતાં મેયર બિજલ પટેલ ઉંઘમાં હતા. જ્યારે મેયરને ફોન લગાવવામાં આવ્યો ત્યારે તેમને ફોન ઉઠાવવાનું પણ ટાળ્યું હતું. તો બીજી તરફ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જેમણે તંત્રની બેદરકારી દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જયંતિ રવિએ મીડિયા સમક્ષ પણ તપાસ માટે જ આવ્યા હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો.
ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તૂરે પણ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું
જ્યારે ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તૂરે પણ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. જ્યારે AMC કમિશનરે સમગ્ર મામલે તપાસ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. જોકે આ નેતાઓ એ નથી જાણતા કે જે લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે તેમના પર શું વિતી રહી છે. જ્યારે ફાયર સેફ્ટી છે કે નહીં તે મામલે પણ જવાબ આપવાનું ટાળ્યું હતું.
કોરોના વાયરસ સમયે હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે બેડ ફાળવવામાં આવ્યા ત્યારે આરોગ્ય વિભાગે શ્રેય હોસ્પિટલને મંજૂરી કઈ રીતે આપી દીધી તે મોટો સવાલ છે. કારણ કે હોસ્પિટલનું ફાયર સિસ્ટમ એક્સપાઈરી થઈ ગયું હતું. એટલું જ નહીં ઈમરજન્સી ગેટ પર પણ થમ્બ સિસ્ટમ લગાવેલી હતી. જે સ્ટાફના જ કોઈ વ્યક્તિ દ્વારા ખુલી શકે છે. એટલે કે હોસ્પિટલની બેદરકારી સ્પષ્ટ પણે દેખાઈ રહી છે તો શા માટે હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકેની મંજૂરી આપવામાં આવી.
આ ઉપરાંત ફાયર બ્રિગેડ પણ ઉંઘતુ ઝડપાયું છે. જો હોસ્પિટલની ફાયર સેફ્ટી એક્સપાઈરી થઈ ગઈ હતી. તો ફાયર વિભાગે આ મામલે કાર્યવાહી કેમ ન કરી. શા માટે ફાયર સેફ્ટી વિના જ હોસ્પિટલ ધમધમી રહી હતી.
હોસ્પિટલનુ બીજું પણ એક કનેક્શન સામે આવ્યું છે તે છે ભાજપ સાથેનું હોસ્પિટલના સંચાલક ભરત મહંત જે પોતે ભાજપના નેતા છે. થોડા સમય પહેલા ભરત મહંત ભાજપમાં જોડાયા છે.. એટલે અહીં પણ સાંઠગાંઠ હોવાની શક્યતા છે. શું ભાજપના નેતા હોવાથી શ્રેય હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ તરીકેની મંજૂરી મળી. શું મંજૂરી આપી ત્યારે આરોગ્ય વિભાગે કોઈ ચકાસણી કરી હતી?
ભાજપ સાથે કનેક્શન હોવાથી આંખ બંધ કરીને હોસ્પિટલને કોવિડ 19 તરીકે મંજૂરી આપી દેવામાં આવી ?. હાલ તો હોસ્પિટલ સંચાલક ભરત મહંતને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.. ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે ભાજપ નેતા હોવાથી ભરત મહંત વિરુદ્ધ કાર્યવાહી થશે. જે 8 લોકોના મૃત્યુ થયા છે તેની જવાબદારી કોણ સ્વીકારશે? અને કાર્યવાહી થશે તો કયા પ્રકારની? કારણ કે મોટાભાગના કેસમાં તો જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા હોય તેમને જ સહન કરવાનો વારો આવે છે. બાકી તો આ હોસ્પિટલ સંચાલકો બન્ને હાથે લૂંટે પણ છે. અને સરળતાથી આવી ઘટનાઓમાં બચીને નીકળી પણ જાય છે.
દેશભરમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. હોસ્પિટલો દર્દીથી હાઉસફુલ છે. કોરોનાની સારવાર લેવા માટે લોકો હોસ્પિટલ પર આસરો રાખી રહ્યા છે. પણ અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા કોરોનાના દર્દીને મોત મળ્યું છે. ઘટના છે અમદાવાદના શ્રેય હોસ્પિટલની. જ્યાં પરિવારજનોનો જમાવડો થયો છે. કારણ કે જે હોસ્પિટલમાં લોકોએ પોતાના પરિવારજનોને કોરોનાની સારવાર માટે દાખલ કર્યા હતા. મધ રાત્રે એટલે કે 3થી 4 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. શ્રેય હોસ્પિટલના ચોથા માળે કોરોનાના દર્દીઓ ICU વોર્ડમાં દાખલ હતા. અચાનક આગ લાગી. અને આ આગમાં એક સાથે 8 જિંદગી ભૂંજાઈ ગઈ.
મળતી વિગતો મુજબ 3 મહિલા અને 5 પુરુષના આગ લાગવાના કારણે મૃત્યુ થયા છે. કેટલાક દાઝ્યા છે તો કેટલાકનો શ્વાસ રૂંધાવાના કારણે જીવ ગયો છે.. હદ તો ત્યારે થાય જ્યારે માનવતા મરી પરવારે. જે દર્દીઓના મૃત્યુ થયા એ તમામ દર્દીના પરિવારજનોને હોસ્પિટલમાં આગ લાગ્યા અંગે કોઈ જાણકારી જ ન અપાઈ. જ્યારે મીડિયામાં આ સમાચાર વહેતા થયા ત્યારે પરિવારજનોને જાણ થઈ અને બાદમાં હોસ્પિટલ બહાર પરિવારજનોનો જમાવડો થઈ ગયો. લોકોમાં આક્રોશ હતો. આંખોમાં આંસુ હતા. અને તંત્ર અને હોસ્પિટલ વિરુદ્ધ રોષ પણ હતો. પરિવારજનોને તેમના સંબંધીઓનો એકવાર ચહેરો જોવો હતો. પણ તેના માટે પણ તંત્રએ મંજૂરી ન આપી.