અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ સરકારે નિમેલી કમિટીએ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારે હવે આ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે નવરંગપુરા પોલીસે મુખ્ય સંચાલક ભરત મહંત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલો
હોસ્પિટલ અગ્નિકાંડ નવરંગપુરા પોલીસે FIR કરી દાખલ
હોસ્પિટલની બેદરકારીનો રિપોર્ટ આવ્યો સામે
શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના મામલે પોલીસે FSLના રિપોર્ટના આધારે મુખ્ય સંચાલક ભરત મહંત સામે ગુનો નોંધ્યો છે. શ્રેય હોસ્પિટલમાં દીવાલો ફિટ કરવાથી આગનો ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો. અને ફાયર NOC ન હોવાના કારણે ફાયર ઓડિટ થઈ શક્યું નહીં. ઉપરાંત ફાયર એલાર્મ પણ ન હોવાથી આગના કારણે લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. અને શ્રેય હોસ્પિટલમાં 86 ટકા ભાગ ભરત મહંતનો હોવાથી પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે.
હોસ્પિટલમાં બે બારી બંધ હોવાથી ધુમાડો બહાર ન નિકળી શકયો, ફાયર એલાર્મ પણ ન હતા
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે હવે હોસ્પિટલની બેદરકારીનો રિપોર્ટ સામે આવ્યો છે. NOC નહીં લીધી હોવાથી ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી નહતી. હોસ્પિટલના ICUમાં બે બારી બંધ હોવાથી ધુમાડો બહાર નિકળી શક્યો નહતો. બન્ને બારીઓને સ્ક્રુથી ફિટ કરેલી હતી જેથી વેન્ટિલેશન ન મળતાં ધુમાડો થયો અને દર્દીઓ ગૂંગળાઇ ગયા હતા. ફાયર એલાર્મ પણ ન હોવાથી આગ ના કારણે લોકોના જીવ ગયા. ફાયર એલાર્મ હોત તો રેસ્ક્યુની કામગીરી ઝડપથી થઈ શકી હોત. તો હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી પરંતુ ચકાસણી કરવામાં આવી નહતી. AMC અને ફાયર વિભાગના અધિકારીઓ પણ બેદરકાર રહ્યાં હતા. પોલીસે AMC અને ફાયરબ્રિગેડની બેદરકારી અંગે અહેવાલ માંગ્યો હતો. આ તમામ ખામીઓ દર્શાવી મુખ્ય ટ્રસ્ટી પાસે વહીવટ હોવાથી તેની સામે ગુનો નોંધાયો છે.
મહત્વનું છે કે, શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. ઘટનાના 5 દિવસ સુધી અલગ-અલગ નિષ્ણાંતોના અભિપ્રાય અને FSL રિપોર્ટની રાહ જોતી પોલીસે અચાનક જ બી ડિવિઝન SP એલ.બી.ઝાલાને ફરિયાદી બનાવી ટ્રસ્ટી ભરત મહંત સામે ફરિયાદ નોંધી હતી.
બેદરકારી, 336, 337, 338, 304 મુજબ ગુનો દાખલ
336: તમારું એવું કૃત્ય જેનાથી બીજાના જીવને નુકશાન પહોંચે
સજાની જોગવાઈ: 03 મહિનાની સજા અથવા 250 રૂપિયા નો દંડ અથવા બંને
337: જે પણ કોઈ વ્યક્તિ દ્વારા એવું કૃત્ય ઉતાવળથી કરવામાં આવે જેમાં માનવ જીવનની સુરક્ષા પર જોખમ ઉભું થાય અથવા ઇજા પહોંચે તેવું કામ
સજાની જોગવાઈ: 06 મહિનાની સજા અથવા 500 રૂપિયાનો દંડ અથવા બંને
338: કોઈ એવું કૃત્ય જેમાં કોઈના વ્યક્તિગત જીવનની સુરક્ષા જોખમાય અને ગંભીર રીતે ઇજા પહોંચાડવી
સજાની જોગવાઈ: 02 વર્ષની સજા અથવા 1000 રૂપિયાનો દંડ અથવા બંને થઇ શકે
304-અ: જો કોઈ વ્યક્તિ એવું કૃત્ય આચરે જેનાથી સામે વાળા વ્યક્તિનું મોત નીપજી શકે અને તે ઈરાદાપૂર્વક હોય અથવા એવી કોઈ શારીરિક ઇજા જે વ્યક્તિનું મૃત્યુનું કારણ બની શકે
સજાની જોગવાઈ: 10 વર્ષથી માંડીને આજીવન કારાવાસની સજા અથવા જે રકમ નક્કી થાય દંડ