ગાંધીનગર: કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા શંકરસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ સિવાયની પાર્ટીમાં જોડાઈ શકે છે. ફરીવાર રાજનીતિમાં પ્રવેશવા શંકરસિંહ વાઘેલાએ કવાયત હાથ ધરી છે. આવતીકાલે શંકરસિંહ વાઘેલા કેટલાક રાજકીય લોકોને મળશે.
ભવિષ્યની રાજનીતિને લઇને શંકરસિંહ વાઘેલા ચર્ચા કરશે. શંકરસિંહ વાઘેલા મહત્વની જાહેરાત કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી શંકરસિંહ વાઘેલા રાજનીતિથી દૂર રહ્યા છે. NCPના નેતા શરદ પવાર સાથે વાઘેલાની મુલાકાતમાં વધારો થયો છે.
થોડા સમય પહેલા શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ છોડ્યા બાદ ખાનગીમાં વાઘેલાની રાહુલ ગાંધી સાથે હમદર્દી વધી છે. પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના ભાજપ પ્રવેશથી શંકરસિંહ વાઘેલા નાખુશ હતા. લોકસભામાં ભાજપ સિવાયની પાર્ટી તરફી ઢળવાનો વાઘેલાનો વ્યૂહ છે.
આપને જણાવી દઇએ કે 2017ની ચૂંટણી સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા શંકરસિંહ વાઘેલાએ પક્ષ સાથેથી છેડો ફાડ્યો હતો. ત્યારબાદ તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાં પ્રવેશ કરતા તેઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મહેન્દ્રસિંહને ધીરજ રાખવા માટે સલાહ આપી હતી. જો કે ત્યારબાદ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા ફરીવાર રાજનીતિમાં સક્રીય થઇ શકે છે.
આ મામલે શંકરસિંહ વાઘેલા મંગળવારના રોજ એક મહત્વની જાહેરાત કરી શકે છે. આ પહેલા તેઓ કેટલાક રાજકીય લોકોને મળવાના છે અને ત્યારબાદ કોઇ મોટી જાહેરાત કરી શકે છે. ત્યારે હવે જોવું જ રહ્યું કે કોંગ્રેસના એક સમયમાં દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા શું જાહેરાત કરે છે.