અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર ૩૦ નવેમ્બર, સોમવાર સુધી બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમામ સંસ્કારધામ પણ સોમવાર સુધી દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય
દર વર્ષે દિવાળીમાં અનેક વાનગીઓને અન્નકૂટ ધરાવવામાં આવે છે
કોરોના મહામારીની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન
BAPS મંદિર સાથે તમામ સંસ્કારધામ પણ સોમવાર સુધી દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BAPS શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્માકીર્તિદાસે તમામ હરિભક્તોને કોરોના મહામારીની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી છે.
મંદિર બંધ હોવાને કારણે હરિભક્તો આજે સવારથી જ બહારથી દર્શન કરી રહ્યા છે. આ અંગે હરિભક્તોનું કહેવું છે કે, મંદિર દ્વારા જે નિર્ણય લેવાયો છે તે લોકોનાં હિતમાં લેવાયો છે, જે સારો જ છે. શ્રદ્ધા હોય તો બહાર ઊભા રહીને પણ ભગવાનનાં દર્શન થઇ શકે છે. અમે સ્વામીજીનાં નિર્ણયને માથે ચઢાવીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, દિવાળી પર્વ નિમિત્તે, અમદાવાદના શાહીબાગમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં, ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ ધરાવાયો હતો. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે મંદિરમાં ભક્તો, સંત્સગીઓ અને દર્શનાર્થીઓ માટે કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સના પાલન સાથે દર્શન કરવા દેવાયા હતા.
દર વર્ષે દિવાળીમાં અનેક વાનગીઓને અન્નકૂટ ધરાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને, ભગવાન સ્વામિનારાયણને ૭૦ જ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. દિવાળી નિમિત્તે દેશ વિદેશના BAPS સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજી સમક્ષ ગોવર્ધન પૂજા સહિતની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી.