અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સ્ટકચર રિપોર્ટ અનસેફ આવતા આ નિર્ણય લેવાયો છે.
સરદાર પટેલ સ્ટેડિયમ AMC દ્વારા બંધ કરાશે
સ્ટ્રક્ચર રિપોર્ટ અનસેફ આવતા લેવાયો નિર્ણય
62 વર્ષ જુનું સરદાર પટેલ સ્ટેડિયમની જર્જરિત હાલત
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલું 62 વર્ષ જુનું સરદાર પટેલ સ્ટેડિયમની જર્જરિત હાલતને ધ્યાનમાં રાખીને હવે કોઈ કાર્યક્રમ કે ઇવેન્ટ માટે બંધ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જો કે સ્ટેડિયમમાં આવેલ મેદાનનો ક્રિકેટ તેમજ અન્ય માટે ઉપયોગ થઈ શકશે.
એક મહિના અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન ખૂબ જ ભીડ થઈ હતી અને ત્યારે કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું કે સ્ટેડિયમમાં બેસવાની જગ્યા અને મોટાભાગની દિવાલોનો RCC ભાગ જર્જરીત હાલતમાં છે. મદ્રાસ IITના સ્ટ્રકચરલ રીપોર્ટ અને અભિપ્રાય મુજબ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ અકસ્માત ના થાય તે હેતુથી સરદાર પટેલ સ્ટેડીયમ હવેથી જાહેર કાર્યક્રમો તેમજ ઈવેન્ટો માટે રીપેરીંગ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં જે લોકો રોજ મોર્નિંગ તેમજ ઇવનિંગ વોક માટે આવે છે તેના માટે સ્ટેડિયમ ચાલુ રહેશે.
હવે આખું રીનોવેશન કરી અને હેરિટેજ લૂક આપી નવું બનાવવાનું આયોજન
સરદાર પટેલ સ્ટેડિયમને 20મી સદીના હેરીટેજ મોન્યુમેન્ટ તરીકે વર્લ્ડ મોન્યુમન્ટ વોચલીસ્ટ 2020માં કરવામાં આવ્યો છે. જેથી હવે આખું રીનોવેશન કરી અને હેરિટેજ લૂક આપી નવું બનાવવાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં રૂ. 50 કરોડના ખર્ચે આખું રીનોવેશન કરવામાં આવશે. જેના માટે આગામી દિવસોમાં ટેન્ડર, તેની ડિઝાઇન સહિતની કામગીરી કરવામાં આવશે. ગુજરાત ખેલ મહાકુંભ 2022ના કાર્યક્રમ દરમ્યાન કેટલીક જગ્યાએ પણ આર.સી.સી. પોપડા પડવાની સંભાવના હોય બેઠકવાળા ભાગમાં કેમોફલેન્જ હોર્ડીંગ અને લગાવી પ્રોટેક્શન કરાવવામાં આવ્યા હતા.
સ્ટેડિયમના રીપેરીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવાના નિર્ણય
નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડીયમના સ્ટકચર રિપોર્ટમાં સ્ટેડિયમમાં ઇવેન્ટ કરવી જોખમી છે તે આવ્યું છે. ખુબ જ જુનું તેમજ જર્જરીત હોઈ તેમજ હાલના તબક્કે કોઈ અકસ્માત ના થાય તે હેતુથી કોઈ પણ ઈવેન્ટ તેમજ જાહેર કાર્યક્રમો કરવા માટે હિતાવહ ન જણાતા હોવાનો સ્ટ્રકચર કનસલ્ટન્ટના રિપોર્ટને ધ્યાને લેતા સંપૂર્ણ રીપેરીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવાના નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ સ્ટેડિયમના મેદાનનો રમત-ગમતમાં ઉપયોગ થઈ શકશે. તથા મેદાન સિવાયનું સ્ટકચર જોખમી છે. તેથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.