શહેરના સરસપુર વિસ્તારમાં થોડાક દિવસો પહેલા એક યુવક રહસ્યમય રીતે સળગ્યો હતો. જેમાં આસપાસના લોકોએ પાણી છાંટી આગ બુઝાવી હતી. અત્યંત ગંભીર હાલતમાં સળગી ગયેલા યુવકને લોકોએ પુછ્યું તો તેણે કહ્યું હતુંકે કોઇએ પેટ્રોલ છાંટીને સળગાવી દીધો છે.
ભડભડ સળગતા યુવક પર પાણી છાંટી લોકોએ આગ બુઝાવી
યુવકે વીડિયો રેકોર્ડિંગમાં કોઇએ પેટ્રોલ છાંટયું હોવાનું જણાવ્યું
પોલીસને વીડિયો સોંપવા છતાં માત્ર અકસ્માતનો ગુનો નોંધ્યો
આગ બુઝાવનાર લોકોએ યુવકે આપેલા નિવેદનનો વીડિયો ઉતાર્યો હતો. યુવકના ભાઇએ વીડિયો પોલીસને આપ્યો છતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો નથી. અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બે દિવસ બાદ મોત થયું હતું.
સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં ૧૯ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં આપવામાં આવેલા બંધના એલાનના દિવસે શાહઆલમ અને મીરજાપુરમાં થયેલાં હિંસક તોફાનો થયાં હતાં તે જ દિવસે રાત્રે સરખેજના મકતમપુરામાં રહેતો એક યુવક શાહરુખ મુખ્તયાર મન્સુરી સરસપુર વિસ્તારમાં રહસ્યમય રીતે સળગ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શાહરુખનું બે દિવસ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
શાહરુખના મોત મામલે પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સરસપુરમાં સળગેલા શાહરુખ મામલે પોલીસે તાપણું કરતો હતો, ત્યારે તે સળગી ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. જોકે મૃત્યુ પહેલાનું શાહરુખનંું નિવેદન કંઇક અલગ છે. શાહરુખ ૧૯મી રાત્રે સરસપુર વિસ્તારમાં આવેલી તેના પિતાની દુકાન નજીક બેઠો હતો ત્યારે આ ઘટના બની હતી.
શાહરુખ આગમાં લપેટાયેલો હતો ત્યારથી કોઇ સ્થાનિકે તેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આગ બુઝાવી દીધા બાદ શાહરુખને બેસાડ્યો હતો અને કોઇ વ્યકિતએ ૧૦૮માં ફોન કર્યો હતો.સ્થાનિકોએ આગ કેવી રીતે લગી તે અંગે શાહરુખને પૂછ્યું હતું. શાહરુખ અત્યંત ગંભીર રીતે દાઝી ગયો હતો છતાંય તેણે જણાવ્યુ હતુંકે કિસીને પેટ્રોલ છાંટ કે માચીસ માર દી...
૧૦૮ એમ્બ્યુલન્સમાં શાહરુખને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું બે દિવસ બાદ મોત થયું છે. શાહરુખ સળગી ગયો છે તે વાતથી તેનો પરિવાર અજાણ હતો. ૧૯ ડિસેમ્બર બાદ શાહરુખ ઘરે નહીં આવતાં તેના ભાઇ જિશાન મન્સુરી સહિત પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે તે નહીં મળી આવતાં અંતે જિશાનને જાણવા મળ્યું હતુંકે શાહરુખ હોસ્પિટલમાં છે. જિશાન અને તેનો પરિવાર હોસ્પિટલમાં ગયા ત્યારે તેની સ્થિતિ ગંભીર હતી.
જિશાન પાસે શાહરુખનો વીડિયો આવી જતાં તેણે પોલીસને તમામ પુરાવા આપ્યા હતા. જોકે પોલીસ આ મામલે કોઇ તપાસ કરી નથી અને માત્ર અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. આજે ૧પ દિવસ થઇ ગયા આ ઘટનાને છતાંય પોલીસને શાહરુખની મોતનો ભેદ ઉકેલવામાં કોઇ રસ નથી.
જિશાને સરખેજના એક યુવક પર શંકા કરીને પોલીસ સ્ટેશન તેમજ કમિશનર ઓફિસ સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.વાળાએ જણાવ્યું છે કે શાહરુખને પેટ્રોલ સુંધવાની આદત હતી. તે તાપણું કરતો હતો ત્યારે સળગી ગયો છે. તેણે વીડિયોમાં જે આરોપ મુક્યા છે તે તદન ખોટા છે. શાહરુખ જાતે સળગી ગયો હોય તેવા નજરે જોનાર સાક્ષી પણ છે.