મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કૌભાંડની નવાઇ નથી. છાશવારે એક અથવા બીજાં પ્રકારનાં કૌભાંડ પ્રકાશમાં આવે છે. પ્રજાના પરસેવાની કમાણીથી વિવિધ ટેકસરૂપે મળેલા નાણાંનો કેટલાક ભ્રષ્ટ અધિકારી બેફામ દુરુપયોગ કરે છે. જોકે હજુ સુધી તંત્ર દ્વારા કૌભાંડી સ્ટાફ સામે ત્વરાથી કોઇ શિક્ષાત્મક કાર્યવાહી કરાઇ નથી.
આનું ઉત્તમ ઉદાહરણ વર્ષ-ર૦૧૭નું રોડ કૌભાંડ છે. આ રોડ કૌભાંડ તો ર૦૧૭ની વિધાનસભા ચૂંટણી દરમિયાન બહુ વિવાદાસ્પદ બન્યું હતું. જેના કારણે સત્તાધારી ભાજપ પક્ષની આબરુના લીરેલીરા ઊડી જવાથી અમદાવાદ સહિત રાજ્યની કેટલીક આસાન ગણાતી વિધાનસભાની બેઠક ગુમાવવી પડી હતી. જોકે આટલા વિવાદાસ્પદ કૌભાંડમાં પણ તપાસની ગતિ સાવ કાચબા છાપ હોઇ તેમાં ‘તારીખ પે તારીખ’ જેવો હાસ્યાસ્પદ ઘાટ સર્જાયો છે.
વર્ષ ર૦૧૭ના સામાન્ય વરસાદમાં શહેરભરના હલકી ગુણવત્તાના બનેલા રોડ તૂટતાં અમદાવાદીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કેટલાક ઇજનેર અને કેટલાક કોન્ટ્રાકટરની મિલીભગતથી રોડ રિસરફેસિંગમાં કરોડો રૂપિયાની ખાયકી થઇને આવા લોકોનાં ખિસ્સાં બે નંબરી આવકથી ભરાયાં હતાં. તંત્ર દ્વારા તે વખતે જી.પી. ચૌધરી ઇન્ફ્રાસ્ટ્રકચર, જે.આર.અગ્રવાલ અને આકાશ ઇન્ફ્રાસ્ટ્રકચર એમ ત્રણ કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરાયા હતા. તેમની સામે એફઆઇઆર પણ કરાઇ હતી.
આ ઉપરાંત આગિયાર કોન્ટ્રાકટર પાસેથી રૂ.નવ કરોડથી વધુની પેનલ્ટી વસૂલાઇ હતી. જ્યારે ર૩ ઇજનેર-અધિકારીને શો કોઝ બાદ ચાર્જશીટ ફટકારાઇ હતી. જેમાં ટોચના ત્રણ ઇજનેરનો પણ સમાવેશ થાય છે. આ ઇજનેરો સામે તપાસ હાથ ધરવા નિવૃત્ત જજ દિનેશ ત્રિવેદીની નિમણૂક કરાઇ હતી. જોકે નિવૃત્ત જજ દિનેશ ત્રિવેદીએ કોરોના કાળના પ્રકોપના કારણે તપાસ અટકાવી હતી.
હવે જ્યારે શહેરમાં કોરોનાના કેસ ઘટયા છે ત્યારે તેમણે ફરીથી તપાસ શરૂ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.ગત ડિસેમ્બર ૨૦૧૯માં તેમની નિમણૂક કરાઈ હતી. અને ગત જાન્યુઆરી ર૦ર૦ના તમામ ઇજનેર સામે ચાર્જશીટ મુકાઇ હતી. ત્યાર બાદ નિવૃત્ત જજે હિયરિંગ શરૂ કર્યું હતું. પરંતુ માર્ચ માસના છેલ્લાં અઠવાડિયાંથી કોરોનાએ શહેરમાં ફફડાટ ફેલાવતાં તપાસ રોકી દેવાઇ હતી.
ટેન્ડરની શરતો મુજબ ડામર, કપચી વગેરે માલ ન વાપરવો, કામના સ્થળે સુપરવિઝનનો અભાવ, પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ ન કરવું, એક જ મટીરિયલ્સનો એક કરતાં વધારે સ્થળે વપરાશ કરવો, બિલમાં ગેરરીતિ અને મોટા પાયે મ્યુનિ. તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવું જેવા ચાર્જશીટમાં મુકાયેલા મુદ્દા જ મ્ય્ુનિ. ઇજનેર વિભાગના ભ્રષ્ટાચારને પુરવાર કરે છે. જોકે ચાર્જશીટ ફટકારેલા ઇજનેર પૈકી ત્રણ એડિશનલ ઇજનેરને આ સમયગાળામાં તંત્રે બઢતી આપી છે.
જે પૈકી ઓકટોબર ર૦ર૦માં વોટર પ્રોજેકટ વિભાગના સિટી ઇજનેર સેવા નિવૃત્ત થવાના છે. અગાઉ એક એડિશનલ ઇજનેર તો સેેવા નિવૃત્ત થઇ પણ ગયા છે. જોકે તેમની સામે તપાસ ચાલતી હોઇ પેન્શન અને ગ્રેજ્યુઇટી રોકી દેવાયાં છે. બે મહિનામાં નિવૃત્ત થનાર સિટી ઇજનેરનું પેન્શન અને ગ્રેજ્યુઇટી પણ રોકી દેવાશે.
ર૦૧૭માં થયેલા રૂ.૩પ૦ કરોડનાં રોડ કૌભાંડના કારણે રાજ્યભરમાં ‘વિકાસ ગાંડો થયો છે’ તેવું સૂત્ર ગાજતાં શાસક ભાજપ પણ ફફડી ઊઠ્યો હતો.તે દરમિયાન મ્યુનિ. વિજિલન્સ વિભાગે ૯૦ તૂટેલા રોડના નમૂના લઇને તેની લેબમાં તપાસ કરાતાં ૭૩ રોડમાં ડામર ઓછો વપરાયો હોવાનું તેમજ કપચી સહિતનું મટીરિયલ હલકી કક્ષાનું હોવાનું પુરવાર થયું હતું.
પ્રાથમિક તબક્કે સાત એડિશનલ ઈજનેેરને ૪૦ અને ૧૯ ડેપ્યુટી ઇજનરને ૪૧ નોટિસ મળીને રોડનાં કૌભાંડમાં ૮૧ નોટિસ ફટકારાતાં ઇજનેર વિભાગમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. મ્યુનિ. વિજિલન્સ તપાસ બાદ હવે આગળની તપાસના ચક્રને આગળ ધપાવવાનાં હોઇ આ કૌભાંડમાં કસૂરવારોને સજા મળશે તેવી ચર્ચા ઊઠી છે.
તમામ ૨૩ ઇજનેર સામેની ચાર્જશીટના હિયરિંગ બાદ સ્થળ તપાસ, સાક્ષીઓની ઊલટ તપાસ, વિજિલન્સ સહિતના વિભાગ પાસેથી પુરાવાની લેવડદેવડ, આ મામલે ઇજનેરોનું અંતિમ નિવેદન જેવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં નિવૃત્ત જજને સહેલાઇથી ચારેક મહિના લાગીને તેઓ રિપોર્ટ તૈયાર કરીને મ્યુનિ. કમિશનરને સોંપશે. આ રિપોર્ટ જાન્યુઆરી, ર૦ર૧માં સોંપાય તેવી શકયતા છે.