શહેરના રિવરફ્રન્ટ પર મોડા સુધી બેસતાં પહેલાં ચેતી જજો, કારણ કે રિવરફ્રન્ટ પર મોડી રાત સુધી એક કપલ વોક-વેની પાળી પર બેસીને વાતો કરતાં કરતાં નાસ્તો કરતાં હતાં તે દરમિયાન એક્ટિવા પર આવેલ બે યુવકો છરી બતાવી લૂંટ ચલાવીને ફરાર ગયા હોવાની ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે.
નારણપુરાના અભિનંદન એપાર્ટમેન્ટમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મિત સોનીએ ફરિયાદ નોંધાવી છે. મિત સોનીની સગાઇ હાલમાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી પૂનમ નામની ડોક્ટર સાથે થઈ છે.
બે દિવસ પહેલાં મિત બાઈક લઈ પૂનમને હોસ્પિટલ પર લેવા માટે ગયો હતો. ત્યાંથી તે બંને અંકુર ચાર રસ્તા ગયાં હતાં. ત્યાંથી તેમણે સેન્ડિવચ લીધી હતી. ત્યારબાદ ફરતાં ફરતાં રાતના ૧ર વાગ્યાની આસપાસ બંને દધિચી રિવરફ્રન્ટ ખાતે અપર વોક-વે પર ગયાં હતાં.
મિત અને પૂનમ પાળી પર બેઠાં બેઠાં વાતો કરતાં હતાં ત્યારે ઉસ્માનપુરા ગાર્ડન તરફથી રાતના બે-સવા બે વાગ્યાની આસપાસ એક્ટિવા પર બે યુવકો આવ્યા હતા. આ બંને યુવકોએ મિત અને પૂનમ પાસે આવીને કહ્યું કે, ‘ઇતની મોડી રાત તક ક્યા કર રહે હૈ’. આમ કહીને તેમની પાસે રહેલી છરી બતાવી હતી અને કહ્યું કે તમારી પાસે જે કંઈ હોય તે આપો.
યુવકોએ આમ કહેતાં પૂનમ અને મિત ગભરાઈ ગયાં હતાં. બંને યુવકો મિત અને પૂનમ પાસેથી પર્સ, કાર્ડ અને મોબાઈલની લૂંટ ચલાવી એક્ટિવા પર જ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક મિતે પોલીસને જાણ કર્યા બાદ બંને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આસપાસના તેમજ રિવરફ્રન્ટના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી લૂંટારુઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.