મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ રાખવા માટે નદીમાં ઠલવાતી પૂજા સામગ્રી કળશમાં એકત્રિત થાય તેવા હેતુસર નદી પરના છ બ્રિજ પર લાખો રૂપિયાના ખર્ચે કળશનો કોન્ટ્રાકટ અપાયો છે. જોકે તંત્રમાં છાશવારે થતા કૌભાંડની જેમ કળશના કોન્ટ્રાકટમાં પણ ભારે ગેરરીતિ આચરાઇ હોવાનું મ્યુનિ. વિજિલન્સ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. વિજિલન્સ તપાસમાં છ મ્યુનિસિપલ કર્મચારી કસૂરવાર ઠર્યા છે.
લોકો પૂજાસામગ્રી નદીમાં ન પધરાવે તે માટે શહેરના બ્રિજ પર કળશ મુકાયા
કોન્ટ્રાક્ટરને દર વર્ષે લાખો રૂપિયા ચૂકવાય છે
કેટલાક બ્રિજ પર કળશના બદલે પીપ મૂકી દેવાયાં
સાબરમતી નદીને ચોખ્ખી રાખવા માટે તેમજ દેશ-વિદેશના મહાનુભાવો નદી પરના બ્રિજ પરથી પસાર થતા હોય તે વખતે તેમાં ઠલવાતી પૂજા-સામગ્રીને જોઇને શહેરની ખરાબ છબી લઇને જાય તે અજુગતું હોવાથી તંત્ર દ્વારા પૂજા સામગ્રીના નિકાલ માટે મધ્ય ઝોનમાં ગાંધીબ્રિજ, દધીચિબ્રિજ, સુભાષબ્રિજ અને પશ્ચિમ ઝોનમાં આંબેડકરબ્રિજ, સરદારબ્રિજ અને એલિસબ્રિજમાં બ્રિજ દીઠ બે કળશ મૂકીને તેમાં એકત્ર થયેલી પૂજા સામગ્રીનો તિલકગાર્ડન ખાતે સેગ્રીગેશન કરી નિકાલ કરવાનો કોન્ટ્રાકટ અપાયો છે.
જોકે આ કોન્ટ્રાકટમાં નિયત શરતો પળાતી ન હોઈ પાલડીના સામાજિક કાર્યકર જોહર વોરાએ તંત્ર સામે વિજિલન્સ તપાસની માગણી કરી હતી. મ્યુિન. તિજોરીમાંથી દર વર્ષે રૂ.પ૦ લાખથી વધુનો ખર્ચ કળશના કોન્ટ્રાકટ પાછળ કરાતો હોવા છતાં બ્રિજ પર મુકેલા કળશની પૂજા સામગ્રી વેર-વિખેર હાલતમાં જોઇ શ્રદ્ધાળુઓની લાગણી દુભાય છે.
ઉપરાંત કળશના બદલે પીપ મુકાઈને તેમાં પણ પૂજાસામગ્રી ઠલવાઈ રહી છે. આમ પૂજાપાના નિકાલની કામગીરીમાં ખુલ્લેઆમ ધાંધિયાં થતા હોવા છતાં મ્યુનિ. સ્ટાફ આંખ આડા કાન કરે છે. તેવો આક્ષેપ જોહર વોરાએ કર્યો હતો.
દરમ્યાન મ્યુનિ. વિજિલન્સ વિભાગના રિપોર્ટ મુજબ આ તમામ બ્રિજમાં કળશ મૂકવામાં આવે છે. પરંતુ કચરો કળશની બહાર ખુલ્લી જગ્યામાં પડ્યો હોઈ તેમજ કળશ પણ તૂટેલા હોવાથી અને કળશ પાસે સ્ટેન્ડ-ટુ મજૂર કે ગાર્ડ ઊભા રાખવાના હોય છે પરંતુ કળશ વાળી જગ્યા પર કોઇ મજૂર કે ગાર્ડ હાજર રહેતા નથી. કળશની કામગીરી જે સંસ્થાને કોન્ટ્રાકટથી અપાઇ છે તે સંસ્થા દ્વારા કચરાના નિકાલ માટેના વાહનોમાં જીપીએસ સિસ્ટમ મેઇન્ટેન કરવામાં આવતી નથી.
મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનના સ્ટાફ દ્વારા જે તે કોન્ટ્રાકટરને સમયાંતરે પેનલ્ટી કરાઈ છે. પરંતુ આ પેનલ્ટી કઇ બાબતની છે તેની સ્પષ્ટતા જે તે વિભાગ દ્વારા કરાઇ નથી. પેનલ્ટી કરાઇ હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કળશની કામગીરીની શરતોનું પાલન થતું નથી એટલે સંબંધિત કોન્ટ્રાકટર સામે યોગ્ય પગલાં લેવા તેમજ દિલીપ ઠાકર, કમલેશ પટેલ, ભરત ડામોર, દીપિકા વોરા, વિમલ અગ્રાવત, સુરેશ નિશરતા એમ મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર, સેનેટરી ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટરની ફરજ નિભાવતા સ્ટાફ દ્વારા કળશની કામગીરીનું સુપરવિઝન ન કરી તેમાં બેદરકારી દાખવી હોવાનું પુરવાર થાય છે. તેમ વિજિલન્સ તપાસના રિપોર્ટમાં જણાવાયું છે.
દરમ્યાન પશ્ચિમ ઝોનમાં આસ્થા ડેવલપર્સ એન્ડ સિક્યોરિટીને ગત તા.૨ માર્ચ ર૦૧૮થી ગત તા. ર૮ ફેબ્રુ.-ર૦૧૯ સુધીના સમયમાં કરેલી કામગીરી માટે રૂ.૯પ,૯૪૦ અને સંસ્કાર રેસિડન્સ વેલ્ફેર એસો.ને ગત તા. ૧ માર્ચ ર૦૧૯ થી ગત તા.૧૮ જુલાઇ ર૦૧૯ સુધીના સમયમાં કરેલી કામગીરી માટે રૂ.રર,૧૦૧ પેનલ્ટી તંત્ર દ્વારા ફટકારાઇ હતી.
આ ઉપરાંત મધ્યઝોનમાં સૌમ્ય એન્ટરપ્રાઇઝને ગત તા. ર૦ ફેબ્રુ. ર૦૧૮થી ગત તા. ર૭ સપ્ટે. ર૦૧૮ સુધીની કામગીરીમાં રૂ.૭પ૬૪ અને આદર્શ ગ્રામીણ વિકાસને ગત તા. ર૮ સપ્ટે. ર૦૧૮થી ગત તા. ૧પ મે ર૦૧૯ સુધીની કામગીરી માટે રૂ.૩૦૦૦ની પેનલ્ટી તંત્રએ ફટકારી હતી. જોકે આટલી મામૂલી રકમની પેનલ્ટી ફટકારાતાં તેને લઇને નવો વિવાદ ઊઠ્યો છે.