ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નજીક આવી રહી છે. રથયાત્રા અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા તેના રૂટ પરનાં ભયજનક મકાનોનો રૂટિન પ્રણાલિકા મુજબ સર્વે કરાય છે. સમગ્ર વર્ષ દરમ્યાન તંત્રને કોટ વિસ્તારનાં જર્જિરત મકાનોમાં જીવના જોખમે રહેતા લોકોના જાનમાલની કાળજી લેવાની ફુરસદ મળતી નથી, જોકે કોટ વિસ્તારમાં ચિંતાજનક રીતે ભયજનક મકાનોનું પ્રમાણ સતત વધતું જાય છે. સદનસીબે ગયા ચોમાસામાં પ૦ ટકા વરસાદ પડવાથી ભયજનક મકાન ધરાશાયી થવાની ઘટના પ્રમાણમાં ઓછી નોંધાઇ હતી, જોકે હવે ટૂંક સમયમાં ચોમાસાના શ્રીગણેશ થવાના હોઇ ફરીથી કોટ વિસ્તારના ભયજનક મકાનોમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ શહેરમાં ભયજનક મકાનોનો સર્વે હાથ ધરતા નથી, જેનાથી ચોમાસાની ઋતુમાં કોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારમાં પણ ગમે ત્યારે મકાન કે મકાનની દીવાલ ધરાશાયી થઇને તેના ભંગાર નીચે નિર્દોષ નાગરિક કચડાઇને મોતને ભેટે છે. ઉત્તર-પૂર્વનાં રાજ્ય કરતાં જંગી વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો કોટ વિસ્તારની કાળજી લેતા નથી. કોટ વિસ્તારમાં દાયકાઓ જૂના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કાષ્ઠશૈલીનાં પુરાતન મકાનો પૈકીનાં અનેક મકાન હવે જોખમી બન્યાં છે.
ખુદ તંત્રના ચોપડે ગત તા.૧ જાન્યુ.-ર૦૧૮થી ૩૧ ડિસે.-ર૦૧૮ સુધીના સમયગાળામાં કોટ વિસ્તારમાં કુલ ૧પ૭ મકાનને ભયજનક જાહેર કરાયા હતા, જેમાં સૌથી વધુ ૭પ ભયજનક મકાન ખાડિયા વોર્ડનાં હતાં. ત્યારબાદ દરિયાપુરમાં પ૭, જમાલપુરમાં ૧૩, શાહપુરમાં ૭, અસારવામાં ૩ અને શાહીબાગમાં બે ભયજનક મકાન મળી આવ્યાં હતાં. જે તે ભયજનક મકાનનાં આસપાસના પાડોશીની ફરિયાદના આધારે તંત્રની તપાસમાં આ મકાન વસવાટ માટે જોખમી ગણાયાં હતાં, જે પૈકી કુલ ર૩ મકાનને ઉતારી લેવાયાં છે.
જો કોઇ મકાન વસવાટ માટે જોખમી લાગે તો સત્તાવાળાઓ જીપીએમસી એકટની કલમ-ર૬૪ હેઠળ તેને ભયજનક જાહેર કરી તેની સ્થિતિ મુજબ તેને ઉતારી લેવાની ચેતવણી જે તે મકાનના કબજેદારને આપે છે. જાણકાર સૂત્રો કહે છે કે મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના ઝઘડાના કારણે અતિજોખમી બનેલા મકાનને તંત્ર પોતે જ ઉતારી લે છે. તંત્ર દ્વારા મકાનને ઉતારવાનો ખર્ચ પાછળથી કબજેદાર પાસેથી વસૂલ કરાય છે. જો કબજેદાર ખર્ચ ચૂકવવાની આનાકાની કરે તો સિટી સર્વે ઓફિસમાં કબજેદારના પ્રોપર્ટીકાર્ડમાં તેટલી રકમનો આર્થિક બોજો નખાય છે. એક મકાનને ઉતારવાનો ખર્ચ રૂ.રપ થી પ૦ હજાર થાય છે.
આમાં આઘાતજનક બાબત એ છે કે વર્ષ ર૦૧૮માં જાહેર કરાયેલાં ૧પ૭ ભયજનક મકાનો પૈકી મોટા ભાગનાં અંતરિયાળ કોટ વિસ્તારનાં હતાં. આજે પણ કોટ વિસ્તારમાં ૬૦૦થી પણ વધુ ભયજનક મકાનોમાં જીવના જોખમે નાગરિકો રહે છે. આ લોકોની સુધબુધ લેવાની તંત્ર પાસે બિલકુલ ફુરસદ નથી. દરમિયાન આ અંગે મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર સૌરભ પટેલને પૂછતાં તેઓ કહે છે, કોટ વિસ્તારનાં ભયજનક મકાનોનો સર્વે કરવા સ્ટાફની ફાળવણી થઇ ગઇ છે. પહેલા તબક્કામાં રથયાત્રા રૂટ પરનાં મકાનોનો સર્વે કરાશે. ત્યારબાદ બીજા તબક્કામાં સમગ્ર કોટ વિસ્તારને આવરી લેવાશે. આ સર્વે એક મહિનામાં પૂર્ણ કરાશે. ગત વર્ષના સર્વે દરમિયાન કોટ વિસ્તારમાં લગભગ પ૦૦ મકાનો ભયજનક મળ્યાં હતાં, જોકે તેનો ચોક્કસ આંકડો યાદ નથી.