અમદાવાદમાં ગઈ કાલે 19 વર્ષ બાદ સંવેદનશીલ સ્થિતિ સર્જાઈ હતી. અચાનક CAA-NRCનો વિરોધ કરી રહેલું ટોળુ હિંસક બની જઈને પોલીસની સામે થઈ ગયું હતુ એટલું જ નહીં પરંતુ કાશ્મીર સ્ટાઈલમાં મોઢે રૂમાલ બાંધીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી શાંત રહેલા અમદાવાદની સ્થિતિ ભારેલા અગ્નિ જેવી થઈ ગઈ હતી ત્યારે કોર્પોરેટર શેહજાદખાન પઠાણે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
ગઈકાલે CAA-NRCનો વિરોધ બન્યો હતો હિંસક
લાલદરવાજા ખાતે પોલીસે કર્યો હતો લાઠીચાર્જ
કોંગ્રેસના કોર્પોરેટર શેહજાદખાન પઠાણની કરાઈ હતી અટકાયત
કોર્પોરેટર શેહજાદખાન પઠાણનું કહેવું છે કે, અમે લોકો શાંતિથી જ વિરોધ કરી રહ્યા હતા પરંતુ અચાનકથી પોલીસે ગાડી આવી જેણે 3થી 4 જણા ઉપર ટાયર ચઢાવી દીધું હતું. ત્યાર બાદ પોલીસે મારી અટકાયત કરી હતી અને ઘણાખરા લોકો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. એટલે જ રોષે ભરાયેલા લોકોએ પોલીસને ભગાડી હતી અને પથ્થરમારો કર્યો હતો.
શાહઆલમમાં કાશ્મીર જેવા દ્રશ્યો
અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ગઈકાલે જમ્મુ-કાશ્મીર પેટર્નથી તોફાનો ફાટી નીકળ્યા હતા. મોઢે રૂમાલ બાંધી આવેલા પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થર મારામાં 60 પોલીસકર્મી ઉપર 5 હજારથી વધનું ટોળુ ધસી આવ્યુ હતુ. આ સમગ્ર મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે.
કોર્પોરેટરનો ખુલાસો
કૉંગ્રેસના કોર્પોરેરટ શેહજાદખાન પઠાણ (સન્ની બાબા)એ કહ્યુ હતુ કે, આ સમગ્ર કાર્યક્રમનું ઇવેન્ટ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું અને સમાચાર માધ્યમોને રીતસરના આમંત્રણ પાઠવાવમાં આવ્યા હતા. અમે શાંતિપૂર્ણ દેખાવો કરવાના હતા. પોલીસની ગાડી આવી અને ત્રણચાર લોકો પર ટાયર ચઢી ગયું ત્યારબાદ મારી ધરપકડ થઈ એટલે તોફાનો થયા.
ગઈકાલે આપેલ બંધનું એલાન હિંસક બન્યુ હતું
CAAના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે સાંજે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું. તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. કાશ્મીરના વિરોધ પ્રદર્શનની સ્ટાઈલમાં પોલીસ પર હુમલો કરાતા તેમાં 20 જેટલા પોલીસ કર્મીઓ અને કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયા હતા. પોલીસ કર્મીઓમાં ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને પકડી પકડીને માર્યા હતા .પથ્થરમારામાં એક મહિલા પોલીસકર્મી પણ ઘવાયા હતા. જ્યારે અન્ય એક પોલીસ જવાનનું માથું ફાટી ગયું હતું.