અમદાવાદની રથયાત્રાને લઈને VTV NEWS દ્વારા પ્રસારીત અહેવાલ ઉપર વધુ એક મ્હોર લાગી છે. રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને શરતી મંજૂરીની આપવાની ચર્ચા બાદ વધુ એક સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે
સરકારની SoP આધારે જ રથયાત્રા નીકળશે
ત્રણેય રથ સાથે નગરચર્યા થશે
મળતી વિગત પ્રમાણે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને SOPના આધારે જ જગતનો નાથ નગરયાત્રાએ નીકળશે.
સરકારની SoP આધારે જ રથયાત્રા નીકળશે.
રથ ખેંચવા માટે 2 પ્રકારનું આયોજન
મળતી જાણકારી પ્રમાણે, ત્રણેય રથ સાથે જગતના નાથ નગરચર્યાએ નીકળશે. રથ ખેંચવા માટે 2 પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ભીડ ન થાય માટે ટ્રેક્ટરથી રથ ખેંચવા આયોજન કરવામાં આવ્યું છે. તો જરૂર પડ્યે સિમિત સંખ્યામાં ખલાસીઓ પાસે રથ ખેંચાવવામાં આવશે.
કોવિડ ગાઈડલાઈન પ્રમાણે થશે સમગ્ર આયોજન
રથયાત્રાના નિયત રૂટ પ્રમાણે નગરચર્યા થશે. રથયાત્રામાં હાજર રહેનારની યાદી મંદિર ટ્રસ્ટ પાસેથી મંગાવાશે. કોવિડની ગાઈડલાઈન પ્રમાણે સમગ્ર આયોજન થશે.સામાન્ય જનતા ઘરમાં રહીને દર્શન કરી શકે તેવું આયોજન કરશે.
કેબિનેટ બેઠકમાં રથયાત્રાની મંજૂરીને લઈને થઈ ચર્ચા
બુધવારે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાની મંજૂરીને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને શરતી મંજૂરી આપવાની રાજ્ય સરકારે તૈયારી દર્શાવી છે. જો કે હજુ સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રથયાત્રા યોજવા મંદિરમાં તડામાર તૈયારી
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ રાજ્ય સરકારે રથયાત્રાને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી, પરંતુ સરકાર અત્યારે ત્રણ એક્શન પ્લાન બનાવી રહી છે. જે દિવસે રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે, જેથી કરીને લોકોની ભીડ એકત્રિત ન થાય અને સંક્રમણ નો ડર ન રહે.
સરસપુરમાં તૈયારીઓ શરૂ
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સરસપુરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આવતીકાલે મામેરાના દર્શનનો કાર્યક્રમ યોજાશે. મોસાળવાસીઓ મંદિરમાં ભાણેજના મામેરાની તૈયારી કરી રહ્યા છે. પરંપરાગત અષાઢી બીજે ભાણેજોનું મામેરુ થાય છે. ભગવાનને મહારાષ્ટ્રીયન સ્ટાઈલના વાઘા, અલંકારની ભેટ ચડાવવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12મી જુલાઈએ આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 12 મી જુલાઇએ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહ આ વખતે પણ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રામાં મંગળા આરતીનો લ્હાવો લેશે એવું પણ મનાઈ રહ્યું છે હવે અમદાવાદમાં રથયાત્રા યોજાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. જોકે, કડક પ્રતિબંધો વચ્ચે રથયાત્રાનાં આયોજન અંગેની મંજુરી મળે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
ભગવાન જગન્નાથજીના વાઘાની વિશેષ પૂજાનું આયોજન
ગુજરાતના અમદાવાદમાં યોજાતી જગવિખ્યાત રથયાત્રાને લઈને ધાંધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકારે આ વર્ષે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને હજુ સુધી રથયાત્રાને લઈને કોઈ જાહેરાત કરી નથી. જોકે ભક્તો અને મહંતોને વિશ્વાસ છે કે આ વર્ષે રથયાત્રા યોજવામાં આવશે.
144 વર્ષમાં પ્રથમ વાર વાઘા યજમાનના ઘરે પહોંચાડાયા
રથયાત્રા માત્ર એક દિવસનો તહેવાર નથી. રથયાત્રા થાય તેના ઘણા દિવસ પહેલાથી અલગ અલગ વિધિ કરવામાં આવે છે. જળયાત્રા બાદ ભગાવન જગન્નાથ મામાના ઘરે આવે છે અને તે બાદ નગરચર્યા સુધીના દિવસની વચ્ચે વાઘાથી લઈને મામેરા સુધીની જુદી જુદી તૈયારીઓ કરવામાં આવે છે. ભગવાનના વાઘાના પૂજનનું પણ મહત્વ અનેરું છે ત્યારે રથયાત્રાના 144 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર વાઘા યજમાનના ઘરે પહોંચાડવામાં આવ્યા છે.