ચોમાસાની હજુ વિધિવત રીતે ધમાકેદાર એન્ટ્રી પણ થઈ નથી કે આ તરફ એએમસીનાં પ્રિમોન્સૂન પ્લાનની આબરૂ `વાયુ' સામાન્ય વંટોળમાં જ ઊઘાડી પડી ગઈ. અમદાવાદમાં બે દિવસ વરસેલા ઝરમરિયા ઝાપટે એએમસીનાં પ્રિમોન્સૂન તૈયારીનાં દાવાની પોકળતા ખુલ્લી પાડી દીધી. સામાન્ય વરસાદમાં મેગા સિટી ગણાતા અમદાવાદની આ હાલત થઈ છે તો મેઘાએ અડધી રાતે ધુવાધાર ઝડપ્યા હોત તો શહેરની કેવી હાલત થાત તે વિચાર દરેક નગરવાસીના મનમાં ઘુમરાઈ રહ્યો છે. અમદાવાદ શહેરને ચોમાસમાં ભૂવાનગરી બનાવી દેતી તંત્રની તૈયારીનો જોઈએ આ અહેવાલ.
ચોમાસાની પ્રારંભે જ અમદાવાદના મ્યુનિસિપલ તંત્રના પ્રિ મોન્સૂન કામગીરીના દાવાની પોકળતા ખુલ્લી પાડી રહી છે. અમદાવાદમાં હજુ કોઈ વરસાદની એવી ધમાકેદાર એન્ટ્રી થઈ નથી. છતાં પણ રોડ પર અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યાએ નાગરિકોને પરેશાન કરી દીધા છે. માત્ર થોડી થોડી વારે વરસતા ઝરમરિયા ઝાપડામાં એરપોર્ટ રોડ પર પાણી ભરાઈ ગયા હતા.
નરોડા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને પડેલી મુશ્કેલી જણાવી રહી છે. રોડ પર પાણી ભરાતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તો આ તરફ બોડકદેવમાં પવન સાથે થોડી વાર વરસાદ વરસતાં રોડ પરથી પાણી ઓછરવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. તો આંબાવાડી વિસ્તારમાં થોડ જ વરસાદમાં માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જેને તંત્રની પોલ ખોલી દીધી હતી. શહેરનાં ઈફ્રાસ્ટ્રરક્ચરની દ્રષ્ટીએ સમૃદ્ધ ગણતા આવા વિસ્તારોમા આ હાલત હોય તે શહેરના બાકીના હિસ્સામાં તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી કેવી હશે? આવા સવાલ ઊઠી રહ્યાં છે.
માત્ર સહજાનંદ કોલેજ આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની જ વાત નહીં, પરંતુ ખાડા ખોદ્યા બાદ એએમસી દ્વારા તેના પુરાણમાં પણ જે રીતે લાપરવાહી વર્તવામાં આવે છે તે વાત ઊડીને આંખે વળગી છે. શહેરનાં શાસ્ત્રીનગરનાં રન્ના પાર્ક નજીક સ્કૂલ બસ પોલાં ખાડમાં ફસાઈ ગઈ હતી...એએમસી દ્વારા રોડ બનાવવા માટે વૃક્ષો કાપ્યા બાદ જે ખાડા પડે છે તેને પૂરવામાં સાવધાની રાખવામાં આવતી નથી પરિણામે ખાડા પોલાં રહી જાય છે જે ચોમાસામાં નાગરિકોના માટે મુસીબતના ખાડા સમાન પુરવાર થાય છે.
આ એ અમદાવાદ શહેર છે જેની ગણના વિશ્વ વિરાસત ધરાવતા શહેરમાં થઈ રહી છે અને આ એ જ અમદાવાદ છે જેના આકાશ પર મેટ્રોરેલ દોડવાની તૈયારી કરી રહી છે...ત્યારે શહેરમાં સામાન્ય વરસાદથી જ આ હાલત થઈ જાય તે તે શરમ ઊપજાવનારી વાત છે. તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરાઈ ચૂકી હોવાના દરવર્ષે દાવા કરવામાં આવે છે પરંતુ પ્રથમ વરસાદે તે દાવા ખૂલ્લા પડી જાય છે. એટલું જ નહીં. ચોમાસા દરમિયાન પણ રોડ રસ્તાના ખોદકામ ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ એએમસીની થઈ જાય છે. છતાં એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યાં છે. સબ સલામતમ છે અને બધા પ્લાન સફળ છે...ત્યારે આ બાબતે એએમસીના સત્તાધારી પક્ષને ઘેરવાની વિપક્ષને તક મળી ગઈ હતી.
પ્રથમ વરસાદે અમદાવાદની હાલત પાણી પાણી થઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. ભૂવા પડ્યા છે, વૃક્ષો પડ્યાં છે. છતાં સત્તાધીશો કહે છે સબસલામત છે. કદાચ તેમને સલામલ લાગતું હશે પરંતુ પરંતુ સાયકલ પર સવાર કે બાઈક પર સવાર થઈને જતાં સામાન્ય નાગરિકોને આ સલામત લાગતું નથી..તંત્રએ હજુ પણ પાણી પહેલા નિકાલની વ્યવ્સ્થા કરવાની જરૂર છે.