અમદાવાદ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 28 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 58 વર્ષ બાદ CWCની ગુજરાતમાં બેઠક મળી રહી છે. રાહુલ ગાંધી અડાલજમાં આવેલા ત્રિમંદીર પાસે જાહેર સભા સંબોધશે. જેને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીની સભાને લઈને આજે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોએ નિરીક્ષણ કર્યુ. અહેમદ પટેલ સભા સ્થળે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અહેમદ પટેલે પ્રધાનમંત્રીના કાર્યક્રમોને લઈને કટાક્ષ કર્યો હતો.
તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, સરકારી ખર્ચે હાલમાં ઘણી રેલીઓ થઈ રહી છે. લોકોના ખર્ચે જાહેરસભાઓ કરી કોંગ્રેસને અપશબ્દો બોલવા તે યોગ્ય નથી.
ત્યારબાદ તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ લોકોના ખર્ચે કાર્યક્રમો નથી કરતી. મહત્વનું છે કે, 28 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી જાહેર સભાને સંબોધશે. અમેઠી, રાયબરેલી બાદ ગુજરાતમાં ગાંધી પરિવાર એક સ્ટેજ પર જોવા મળશે.
આપને જણાવી દઇએ કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મિશન 26ને સર કરવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં એક બેઠક તાજેતરમાં મળી હતી.
આ બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અને CWCની બેઠક મુદ્દે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા સહિતના કોંગ્રેસના સિનિયર આગેવાનો હાજર રહ્યાં.