દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે અને અમદાવાદ શહેરના સૌથી મોટા ગણાતા લાલદરવાજા બજારમાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા અને ખરીદીનો રંગ જામ્યો છે. દરરોજ લોકો હજારોની સંખ્યામાં ખરીદી માટે આવી રહ્યા છે ત્યારે તેમનાં વાહનો સુરક્ષિત જગ્યાએ પાર્ક થાય અને ટ્રાફિક પોલીસ તેને ટૉ કરે નહીં તે ચિંતાનો ‘અસલ અમદાવાદી’ ઉકેલ લોકોએ શોધી કાઢ્યો છે.
ગોળલીમડા ખાતે આવેલું અમદાવાદનું સૌથી મોટું ફાયર સ્ટેશન જમીનદોસ્ત થઈ ગયું હોવાના કારણે હવે એ ખુલ્લા મેદાનમાં લોકો કોઈપણ જાતનો પાર્કિંગ ચાર્જ ચૂકવ્યા વગર જ પોતાના વાહનો પાર્ક કરી રહ્યા છે.
કોરોના મહામારીના કારણે આર્થિક મંદી ઠેરઠેર આવી છે તેમ છતાંય લોકોએ હિંમત દાખવીને રોજગાર-ધંધા શરૂ કર્યા છે. અમદાવાદના ખરીદી માટેના હબ કહેવાતા લાલદરવાજામાં પણ નાના-મોટા તમામ ધંધા શરૂ થઇ ગયા છે. દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે લોકો કોરોનાના ડરને ભૂલીને ખરીદી માટે બજારમાં નીકળ્યા છે.
ખરીદી માટે લાલદરવાજા આવનાર લોકોને એક ડર હોય છે કે તેમનું વાહન પોલીસ ટૉ તો નહીં કરે ને? ગ્રાહકોના આ ડરનું સોલ્યુશન પણ હવે આવી ગયું છે, કારણ કે છેલ્લા એક વર્ષથી ખુલ્લી પડેલી ફાયર બ્રિગેડની જગ્યા પર લોકો આરામથી વાહન પાર્ક કરી શકે છે, જેમાં ટ્રાફિક પોલીસ વાહનોને ટો કરી શકતી નથી.
હાલ એક હજાર કરતાં વધુ વાહનો ફાયર બ્રિગેડના ગ્રાઉન્ડમાં પાર્ક થાય છે. આ ગ્રાઉન્ડ પર શહેરનું સૌથી મોટું અને વર્ષોજૂનું ફાયર સ્ટેશન હતું, જેને તોડીને નવું હાઈટેક ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો. ૧૪ નવેમ્બર, ર૦૧૯ના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ફાયર સ્ટેશન, ફાયર સ્ટાફ ક્વાર્ટર્સ અને મિલ્ટ લેવલ કાર પાર્કિંગ બનાવવા માટેનું ખાત મુહૂર્ત કર્યું હતું.
ખાત મુહૂર્ત થઈ ગયું, પરંતુ લોકડાઉન તેમજ અન્ય કારણસર હજુ સુધી પાયા ખોદયા નથી. પાયા ખોદયા વગર લોકોએ અહીંયાં મિલ્ટ લેવલ પાર્કિંગ કરી દીધું છે. લોકડાઉન ખૂલ્યાને પણ ઘણો સમય થઇ ગયો તેમ છતાંય હજુ સુધી ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.
ફાયર બ્રિગેડના આ ગ્રાઉન્ડમાં સવારથી વેપારીઓ તેમનાં વાહનો પાર્ક કરી દે છે. ત્યારબાદ લોકો તેમનાં વાહનો પાર્ક કરીને ખરીદી માટે જાય છે. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં પણ વાહનો પાર્ક કરવાનાં ધાંધિયાં હોય છે, જેના કારણે કોર્પોરેશનની મુલાકાત માટે આવતા લોકો પણ આસાનીથી વાહનો પાર્ક કરે છે.