અમદાવાદ: કોંગ્રેસ દ્વારા ભારત બંધનુ એલાન આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા બંધ કરાવીને વિરોધ નોંધાવ્યો છે. શિલજ-રાંચરડા રોડ પર વાહનો રોકીને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ST AMTS સહિતના વાહનો રોકીને ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાના વિરોધમાં આજે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે તેની સાથે અન્ય 21 વિપક્ષી પાર્ટીઓએ ટેકો આપ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ ત્રીજી વખત ભારત બંધનું એલાન આવ્યું છે.
ત્યારે આજરોજ વહેલી સવારે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ટાયર સળગાવીને વિરોધ કર્યો હતો. આ સાથે મનપા સંચાલિત શાળાઓ કોંગ્રેસના કાર્યકરોએ બંધ કરાવી હતી. ચાંદખેડામાં સાકાર સ્કૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જબરદસ્તી સ્કૂલ બંધ કરાવી હતી.
આપને જણાવી દઇએ કે ભારત બંધને લઇને વહેલી સવારથી કોંગ્રેસના કાર્યકરો બંધ કરાવવા નિકળ્યા હતા તો આ ઘટનાને પગલે કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.