અમદાવાદની સાબરમતી નદીની કિનારે અમદાવાદનો સુપરમેન વસે છે. જી હા, આ અમદાવાદીની કહાની જોઈ-વાંચીને એક અમદાવાદી તરીકે તમારી છાતી ગજગજ ફૂલી જશે. અમદાવાદ શહેરની ઓળખ સમાન સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના કિસ્સાઓ છાશવારે બને છે ત્યારે શહેરના પરગજું આદમી પ્રહલાદ સોલંકી આવા લોકોને પોતાના જીવના જોખમે બચાવીને જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યા છે અત્યાર સુધી 300થી વધુ લોકોના જીવ બચાવીને.
સૌપ્રથમ તો એક યુવકે આંખો સામે દમ તોડ્યો પરંતુ બચાવવાની હિંમત ન થઈ
પ્રહલાદ ભાઇને આ કાર્ય કરવાની પ્રેરણા ક્યારે મળી તેવું પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, હું અહીં કેટલાક મિત્રો સાથે બેઠો હતો ત્યારે અચાનક પાણીમાં કોઇ પડ્યું હોવાનો અવાજ આવ્યો, દોડીને ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે જોયું કે એક યુવકે ઝંપલાવ્યું છે અને લોકો તેને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ નદીમાં પડવા કોઇ તૈયાર નહોંતુ. અંતે યુવકનું મોત થયું. આ ઘટનાએ મને હચમચાવી દીધો. મને તરતા આવડતું હતું છતાં તેને બચાવવા ઝંપલાવ્યું નહીં તેનો રંજ કાયમ રહેશે અને અંતે મેં નદીમાં પડીને આપઘાત કરનારાઓને બચાવવાનું અભિયાન હાથ ધર્યું.
માત્ર 17 વર્ષની ઉંમરે એક યુવકને આપ્યું જીવનદાન
પ્રહલાદ ભાઇએ માત્ર 17 વર્ષની વયે એક યુવકને આપધાત કરતો બચાવ્યો અને બસ ત્યારથી આજ સુધીમાં તેમણે 300 લોકોને બચાવીને જીવનદાન આપ્યું છે. ડૂબતા બચેલ વ્યક્તિ ફરીવાર મળવા આવે ખરો..? નિસાસો નાંખતા પ્રહલાદભાઇ કહે છે ક્યારેય નથી આવતું કોઈ પરંતુ આપણે તો આપણું કામ કરતા રહેવાનું.
જવાબદારી નિભાવવામાં માત્ર 8 ચોપડી સુધી જ કર્યો અભ્યાસ
ઉલ્લેખનીય છે કે, પ્રહલાદ ભાઇ માત્ર 8 ચોપડી પાસ છે, માતા માનસિક રીતે બીમાર હોવાથી અને ભાઇ-ભાંડુ નાના હતા એટલે તમામ જવાબદારી પોતાના માથે આવી પડી અને આગળ ભણી ન શક્યા. પરિવાર સાથે પ્રહલાદભાઇ ભાડાના મકાનમાં રહે છે અને તેમના પત્ની આજુબાજુના ઘરકામ કરીને પેટીયું રળે છે. ક્યારેક કોઇ નદીમાં કશું પધરાવવા આવે તો પ્રહલાદભાઇને થોડા ફદીયા આપે અને બસ આ જ એમની કમાણી.
યાદગાર કિસ્સો રસપ્રદ
કોઇ યાદગાર કિસ્સા અંગે પ્રહલાદભાઇએ ઉત્તર આપ્યો કે, એક જુવાનીયાના હાથમાં બોમ્બ ફુટ્યો અને ત્યારબાદ તેનાથી લખાતું નહીં, અંતે તેણે કંટાળીને મોતને વ્હાલું કરવા સાબરમતીમાં ઝંપલાવ્યું અને મને જેવી ખબર પડતા તેને બચાવવા હું કૂદી પડ્યો અને જીવતો બચાવી લીધો, યુવકને મરવા પાછળનું કારણ પૂછતા તેણે કહ્યું કે, મારાથી કાઇ લખાતું નથી, જીવીને શું કરવું?
સન્માન
અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના જીવ બચાવનાર પ્રહલાદભાઇને તત્કાલીન રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા એક એવોર્ડ તથા 11,000 રૂપિયાનો પુરસ્કાર મળ્યો છે. તે સિવાય તંત્ર માત્ર વાહ-વાહ જ આપે છે.
VTV સલામ કરે છે અદના આદમીને
આંકડો ચોંકાવનારો છે પરંતુ હકીકત છે કે, ગુજરાતમાં દરરોજ 55 લોકો આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરનારા લોકોની ઉંમર 18 વર્ષથી લઇને 30 વર્ષના યુવાનો હોય છે. આજની દોડધામ ભરેલી જિંદગીમાં કોઇ માનવીને બીજા માનવી માટે જીવવાનો કે મદદ કરવાનો સમય ભાગ્યે જ મળે છે ત્યારે સાબરતી નદીના કાંઠે એક ખખડી ગયેલી બોટમાં બેસીને આરઘાત કરનાર પ્રહલાદ ભાઇને VTV સલામ કરે છે.
ખખડધજ બોટના સ્થાને કોઇ નવી બોટ માટે મદદ કરે તેવી ઝંખના
પ્રહલાદભાઇને સાબરમતી સાથે અનોરો લગાવ છે, સવારે ઉઠે ત્યારથી સાંજ સુધી પોતાની ખખડધજ બોટમાં બેસીને નદીમાં ફર્યા કરે અને જો કોઇ જિંદગી ટૂંકાવા નદીમાં ઝંપલાવે તો તેની વ્હારે પહોંચી જાય. જો કે કરૂણતા એ છે કે અત્યાર સુધીમાં અનેકના જીવ બચાવનાર અને નદીમાં કોઈ ઝંપલાવે ત્યારે ખખડધજ બોટ દ્વારા પણ બનતા તમામ પ્રયાસો કરીને બચાવનાર પ્રહલાદભાઈ માટે સરકાર કે તંત્ર આર્થિક સહાય કરતું નથી તે વાતનો રંજ છે.
મદદ કરે કે ન કરે, હું બચાવતો રહીશ: પ્રહલાદભાઈ
અમદાવાદનો આ સુપરહીરો અંતમાં કહે છે કે કોઈ મદદે આવે કે ન આવે પરંતુ હું મારી આ જવાબદારી સમજીને બચાવકાર્ય ચાલુ રાખીશ.