અમદાવાદમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે જ્યારે જનતા મહામારી સામે લડી રહી છે ત્યારે જનતાના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ગુમ થઈ ગયા છે.
અનેક લોકોના મોત પછી પણ તંત્રની ઉંઘ ઉડતી નથી
અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરુપ અને સત્તાધિશો ગાયબ
નેતાના સેંકડો ફોન પછી પણ પ્રજાનું નથી કોઇ સાંભળવાવાળું
જનતા ત્રાહિમામ અને આ લોકો એસી ચેમ્બરોમાં કરી રહ્યા છે 'આરામ'!
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, અમદાવાદ અને સુરતની પરિસ્થિતિ એટલી ભયંકર છે કે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે શહેરોની જવાબદારી જેના શિરે છે તે અધિકારીઓ અને રાજનેતાઓ આજે પણ એસી રૂમમાં બેઠા છે.
અમદાવાદની પ્રજાને કાળજી લેવાવાળું હાઇ કોઇ નહીં
અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી ગઈ છે ત્યાં કમિશનર, મેયરથી લઈને અમદાવાદના કોઈ પણ ધારાસભ્ય ફરક્તા પણ નથી. અમદાવાદની પરિસ્થિતિ હાલમાં વુહાન જેવી જ છે ત્યારે આજે અમદાવાદના જનપ્રતિનિધિઓ ક્યાંય દેખાતા નથી. જ્યારે વેક્સિન માટે ફોટા પાડવાના હતા ત્યારે આ જ ધારાસભ્યો પહેલા આવી જતાં હતા પરંતુ આજે જ્યારે જનતા તેમની જરૂર પડી છે ત્યારે ધારાસભ્યોથી લઈને અધિકારીઓ પોતાની એસી ચેમ્બરોમાંથી બહાર નથી આવી રહ્યા. અમદાવાદમાં સતત કેસ વધી રહ્યા છે, લોકોને એક બેડ નથી મળી રહ્યો અને સ્મશાનોમાં પણ લાંબુ વેઇટિંગ છે પરંતુ હજુ પણ અમદાવાદના તંત્રની જાણે ઊંઘ તો ઊડતી જ નથી. અનેક લોકો રોજ મરી રહ્યા છે, ઘણી જગ્યાઓ પર તંત્રની બેદરકારી સામે આવી રહી છે, શહેરોમાં એક્ટિવ કેસની સંખ્યા 32 હજારને પાર થઈ ગઈ છે અને દરરોજ 4થી 5 હજાર કેસ આવી રહ્યા છે અને બધામાં ક્યાંકને ક્યાંક જનપ્રતિનિધિઓની નિષ્કાળજી જવાબદાર છે.
અમદાવાદમાં પરિસ્થિતિ એવી છે કે જનતાની કાળજી લેવા માટે જાણે કોઈ બચ્યું જ નથી. અમદાવાદમાં મેયર કિરીટ પરમારનો આજની તારીખમાં કોઈ જ અતોપતો નથી. મેયર જ્યારે ચૂંટાયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું મેયરના બંગલામાં પણ નહીં જઉ અને હંમેશા જનતાની સેવા જ કરતો રહીશ. કિરીટ પરમાર અમદાવાદના પ્રથમ નાગરિક છે પરંતુ આજે જનતાને જરૂર છે ત્યારે તેઓ ક્યાંય દેખાઈ નથી રહ્યા. AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ ક્યાંય દેખાતા નથી.
મુકેશ કુમાર-રાજીવ ગુપ્તા ગુમ
અમદાવાદની જવાબદાર જેના માથે છે એવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર દેખાતા જ નથી. કોરોના માટે જવાબદારી જેના માથે છે તેવા OSD રાજીવ ગુપ્તા પણ પ્રજાની નજરમાં ક્યાંય સામે આવ્યા નથી. ત્યારે સવાલ ઊભા થાય છે કે કોરોનાની આવી સ્થિતિમાં પણ મુકેશ કુમાર અને રાજીવ ગુપ્તા નિર્ણય કેમ નથી લેતા?
રાકેશ શાહે આપ્યો આ જવાબ
VTV ન્યૂઝ દ્વારા જ્યારે જનતાના પ્રતિનિધિઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે કહ્યું હતું કે હું તો ત્યારે 24 કલાક આ જ કામમાં લાગેલો છું. હું મારી ઓફિસમાં મારી જનતા માટે કામ કરું છું. એક દિવસ પણ એવો નથી કે અમે જનતાથી દૂર રહ્યા હોય. તેમણે કહ્યું કે જ્યાં બેડ ફૂલ થઈ જાય તો શું કરી શકીએ?
આ સિવાય વેજલપુરના ધારાસભ્ય કિશોર સિંહ ચૌહાણને જ્યારે VTV દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હું રોજ સોલા સિવિલમાં હોઉં છું અને કામ કરું છું. તેમણે કહ્યું મને રોજના 30થી 40 ફોન રોજ આવે છે અને બધાને મદદ કરવાં માટે હું કામ કરું છું.
કોંગ્રેસને બસ આક્ષેપ કરી દેવામાં જ સંતોષ
અમદાવાદની પરિસ્થતિ એવી છે કે પહેલી લહેરમાં જે નેતાઑ દેખાતા હતા તે પણ હવે બીજી લહેરમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભાજપ જ નહીં કોરોના વાયરસની આ બીજી લહેરમાં કોંગ્રેસ નેતાઑ પણ ક્યાંય દેખાઈ નથી રહ્યા, માત્ર આક્ષેપબાજી તથા સોશ્યલ મીડિયામાં ટ્વિટ કરીને કોંગ્રેસ નેતાઓ પણ આરામ ફરમાઈ રહ્યા છે ત્યારે કોરોનાના ખપ્પરમાં હોમાતા ગુજરાતને કોણ બચાવશે તે મોટો સવાલ છે.
મેયર કિરિટ પરમારનો કોઇ અત્તોપત્તો નથી
સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ પણ દેખાતા નથી
મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને શોધે છે પ્રજા
OSD રાજીવ ગુપ્તા પ્રજાની આશા ભરી આંખોથી જોજનો દૂર
અમદાવાદના એમપી કિરિટ સોલંકી, હસમુખ પટેલની પણ ગેરહાજરી
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા ક્યાંય દેખાતા નથી
સરકાર પર આક્ષેપ કરીને કોંગ્રેસના નેતાઓ મારી રહ્યા છે સંતોષ