અમદાવાદમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા પોલીસ દ્વારા 'MAY WE HELP YOU' નામની એક યોજના શરૂ કરવામાં આવશે. જેમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા ખાનગી બેંક પાસેથી સ્ટ્રીટ વેન્ડરને લોન અપાવવામાં આવશે.
વ્યાજખોરનું દૂષણ ડામવા પોલીસ સજ્જ
MAY WE HELP YOU નામની યોજના થશે શરૂ
પોલીસ લોકોને ખાનગી બેંક પાસેથી અપાવશે લોન
રાજ્યભરમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા ગૃહ રાજ્યમંત્રીએ આપેલા આદેશ અંતર્ગત ઠેર-ઠેર લોકદરબાર યોજીને પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં એવું લાગતુ હતું કે માથાભારે તત્વો જ વ્યાજખોરી કરતા હશે. પરંતુ હવે એવી હકીકત સામે આવી છે કે વ્યાજખોરીના આ દૂષણમાં ડૉક્ટરો, અધ્યાપકો અને વકીલો પણ સામેલ છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં અમદાવાદમાં વ્યાજખોરોના આતંકને ડામવા શહેર પોલીસે નવો રસ્તો શોધી કાઢ્યો છે.
પોલીસ લોકોને અપાવશે લોન
અમદાવાદ પોલીસ 'MAY WE HELP YOU' નામથી નવી યોજના શરૂ કરશે. આ નવી યોજનામાં પોલીસ સ્ટ્રીટ વેન્ડરને પડતી મુશ્કેલીનું ધ્યાન રાખશે. પોલીસ અને કોર્પોરેશન મળીને લોકોને લોન અપાવશે. પોલીસ દ્વારા લોકોને ખાનગી બેંક પાસેથી લોન અપાવવામાં આવશે. આ કાર્યક્રમ 28થી 30 જાન્યુઆરી સુધી ચલાવવામાં આવશે.
ઠેર-ઠેર યોજાઈ રહ્યા છે લોકદરબારઃ DCP ભારતી પંડ્યા
આ અંગે માહિતી આપતા DCP ભારતી પંડ્યાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની વ્યાજખોરી વિરુદ્ધ ડ્રાઈવ ચાલી રહી છે. પોલીસ દ્વારા ઠેર-ઠેર લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે. જેમાં લોકો પોતાની રજૂઆતો કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં ગુના પણ દાખલ કરવામાં આવી રહ્યા છે.
શાહીબાગ હેડક્વાર્ટર ખાતે લોકદરબારનું આયોજન: DCP
તેઓએ જણાવ્યું કે, આવતીકાલે શાહીબાગ હેડક્વાર્ટર ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઝોન કક્ષાએ યોજાયેલા લોક દરબારમાં પોતાની રજૂઆત ન કરી શકનારા લોકો અહીં પોતાની રજૂઆત કરી શકશે. આ લોકદરબારની વિશિષ્ટતા એ છે કે અહીં બેંકોના અધિકારીઓ પણ હાજર રહેવાના છે. જેઓ સ્ટીટ વેન્ડરને લોન માટેની પ્રોસિજર સમજાવશે.
MAY WE HELP YOU નામની યોજના થશે શરૂ
ત્યારબાદ અમે 28થી 30 તારીખ સુધી 'MAY WE HELP YOU' નામથી એક પ્રોગ્રામ લૉન્ચ કરી રહ્યા છે. AMC, બેંક અને પોલીસના સંયુક્ત ઉપક્રમે આ યોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓ, ઝોન અધિકારીઓ, બેંકના કર્મચારીઓ જ્યાં સ્ટ્રીટ વેન્ડરના ધંધા-રોજગાર છે અથવા તેઓ જ્યાં રહે છે ત્યાં જઈને કેમ્પ કરીને તેમની લોનની વિગતો સમજાવશે. પોલીસ સ્ટેશન દીઠ ત્રણ કાર્યક્રમો 28, 29 અને 30 કરવામાં આવશે. જેમાં ઉપરી અધિકારીઓ પણ હાજર રહીને માર્ગદર્શન આપશે.
સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન
આ પહેલા સુરત ખાતે પણ પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ સુરત પોલીસના કોમ્યુનિટી હોલમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોન લેવા માટે લોકો હાજર રહ્યા હતા. મોટાભાગે વ્યાજખોરોને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા. તેનાથી મુક્તિ આપવા માટે નવા અભિગમ સાથે સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકોને લોનની જરૂરિયાત છે તેઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીં જોડાયા હતા.