રાજ્યમાં પોલીસ ડિપ્રેશન, આત્મહત્યા અને ગુમ થયાના કિસ્સાઓ રોજબરોજ વધી રહ્યા છે. થોડા દિવસો અગાઉ રાજકોટમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલો સામે આવ્યો હતો. જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, એએસઆઇ ખુશ્બૂ કાનાબારે કોન્સ્ટેબલ રવિરાજ સિંહની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. ત્યારે સોમવારે અમદાવાદમાં બે પોલીસ કોન્સ્ટેબલ ઘર છોડીને ગુમ થયાની ઘટના સામે આવી છે.
અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કોન્સ્ટેબલ ગુમ થયા છે. કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી નામના બે કોન્સ્ટેબલ ગુમ થયા છે. આ કોન્સ્ટેબલની શંકાસ્પદ સ્યુસાઈડ નોટ મળી આવી છે.
આ સ્યુસાઈડ નોટમાં પોલીસ ઈન્સ્પેક્ટર પર આક્ષેપ કરવામાં છે. PIના વહીવટદારોના ત્રાસથી કંટાળીને ઘર છોડ્યું હોવાનું નોટમાં ઉલ્લેખ કરાયો છે. પી.બી.દેસાઈ અને વહીવટદારોના ત્રાસથી કંટાળીને ઘર છોડ્યાનું સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.
જીગર સોલંકીએ સ્યુસાઈડ નોટમાં શું લખ્યું?
સ્યુસાઈડ નોટમાં જીગર સોલંકીએ લખ્યું છે કે, પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આડકતરી રીતે રૂપિયા અને દારૂના અડ્ડા ચાલે છે જેની નવરંગપુરા પીઆઇને જાણ કરતા તેમણે ધમકી આપતા કહ્યું હતું કે 'શાંતિથી નોકરી કરો નહીંતર બદલી થઇ જશે. ખોટા કેસમાં ભરાવી દેવામાં આવશે.' જેથી હું માનસિક અને શારીરિક કંટાળી ગયો છું. હું જીવવા નથી માંગતો.
કૌશલ ભટ્ટે સ્યુસાઈડ નોટમાં શું લખ્યું?
કૌશલ ભટ્ટે પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘પીઆઈ પીબી દેસાઈને તેમના બે વહીવટદાર જયેશ દેસાઈ અને દેવસી દેસાઈ વિશે જણાવતા તેઓએ ચુપ રહેવા કહ્યું હતું. તેમની સામે કરેલી અરજી પાછી ખેંચવા શારીરિક અને માનસિક દબાણ કરતા હતા. ખોટા કેસમાં ભરાઈ દેવાની ધમકી આપી હતી.
આ મામલે પોલીસ ઈન્સપેક્ટર પી.બી.દેસાઈએ પ્રતિક્રિયા આપી છે કે, બન્નેને નોકરી ન કરવાની હોવાથી આ કાવતરું રચ્યુ છે.