સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં અપાયેલા બંધનાં એલાન બાદ ફાટી નીકળેલાં હિંસક તોફાનમાં તાફાની તત્ત્વોને ઝડપી પાડવા માટે શહેરનાં ૪૮ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ કામે લાગી ગયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા હુમલાના ફોટોગ્રાફ્સ તેમજ સીસી ટીવી ફૂટેજ તેમજ વીડિયોના આધારે શહેર પોલીસ તમામ તોફાની તત્ત્વોને પકડવા સૂચના આપી દેવાઇ છે.
તમામ પોલીસ સ્ટેશનને વીડિયો અને સીસીટીવી ફૂટેજ મોકલી અપાયાં
શાહઆલમના તોફાનીઓમાં અન્ય વિસ્તારના અનેક લોકો પણ સામેલ હતા
બંધનું એલાન આપનારાં સંગઠન, અગ્રણીઓ સામે પણ કાર્યવાહીની શક્યતા
ગુરુવારના રોજ ઇસનપુર પોલીસે દાણીલીમડા વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન ઉર્ફે સન્નીબાબા પઠાણ સહિત ૪૯ લોકોની ધરપકડ કરી છે ત્યારે કારંજ પોલીસે ૧૧ લોકોની ધરપકડ કરી હતી. ઇસનપુર પોલીસે પાંચ હજાર કરતાં વધુ લોકો વિરુદ્ધમાં હત્યાની કોશિશ તેમજ રાયોટિંગ અને કાવતરાનો ગુનો દાખલ કર્યો હતો.
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં અમદાવાદ બાદ ગઇ કાલે વડોદરામાં હિંસા ફાટી નીકળી છે. એક પછી એક ઠેર ઠેર થઇ રહેલી હિંસામાં કેટલાંક તત્ત્વોએ પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આવી સ્થિતિમાં તોફાની તત્ત્વોને પકડી પાડવા માટે તમામ સુરક્ષા એજન્સીઓ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં ૩ મુફતી, ૪ મૌલાના સહિત ૧૫ મુસ્લિમ આગેવાનોનાં નામે આપવામાં આવેલા બંધના નામે કેટલાંક ભાંગફોડિયાં તત્ત્વોએ પૂર્વઆયોજિત કાવતરું ઘડીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સૌથી મોટું ઘર્ષણ શાહઆલમમાં થયું હતું. જેમાં પોલીસકર્મીઓ અને એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પીઆઇ જે.એમ. સોલંકી ફરિયાદી બન્યા છે અને મુખ્ય આરોપી દાણીલીમડાનો કોર્પોરેટર શહેઝાદખાન પઠાણ છે.
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે અમદાવાદના અનેક લઘુમતી વિસ્તારોમાં લોકોનાં ટોળે ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં, અને ટોળાં દ્વારા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ હિંસક આંદોલન શરૂ થતાં, પોલીસે પણ સામે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયરગેસના સેલ છોડવા પડ્યા છે.
ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.સોલંકીએ જણાવ્યું છે કે આ કેસની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી છે. તમામ આરોપીઓ ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં છે. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. દાણીલીમડા, વટવા, વટવા જીઆઇડીસી, નારોલ સહિતના શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં આરોપીઓને પકડીને ઇસનપુર પોલીસને સોંપવા માટે સૂચના આપવામાં આવી છે. હિંસાના વીડિયો જે વાયરલ થયાે છે, તેમાં તોફાની તત્ત્વો જે તે વિસ્તારમાં રહેતા હોય તેને ઓળખીને પકડી લેવા માટે ઉચ્ચ અધિકારીઓએ શહેરના ૪૮ પોલીસ સ્ટેશનને આદેશ કરી દીધા છે.
આ મામલે ક્રાઇમ બ્રાંચના સ્પેશિયલ કમિશનર અજય તોમરે જણાવ્યું છે કે, ''બંધનું એલાન આપનાર લોકો વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'' ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદામાં તેમજ પાટીદાર અનામત આંદોલન બાદ સુપ્રીમ કોર્ટે ગાઇડ લાઇન બહાર પાડી હતી કે જો કોઈ સંગઠન કે વ્યક્તિ બંધનું એલાન આપે અને ત્યાર બાદ હિંસા ફાટી નીકળે તો તેની જવાબદારી તેની રહેશે અને સરકારી સંપત્તિને નુકસાન થશે તો સરકાર જે તે વ્યક્તિ કે સંગઠન પાસેથી તેની વસૂલાત કરશે.