છેલ્લા 3 મહિનાથી 30થી વધુ વખત પાર્સલ આવ્યા હોવાનું સામે આવ્યું, માધુપુરા પોલીસે એનડીપીએસનો ગુનો નોંધ્યો
નશીલા સીરપની હેરાફેરી
બેંગ્લોર વાયા અમદાવાદ- બાવળા
પોલીસે 592 બોટલ કફ સીરપ કબજે કરી
બેંગ્લોરથી ટ્રાવેલ્સની બસમાં નશીલા સીરપની હેરાફેરી સામે આવી છે.જેમાં છેલ્લા 3 મહિનાથી નશીલા સીરપ પાર્સલમાં આવતી હતી.જે બેંગ્લોરની ડ્રગ કંપની બાવળાના એક શખ્સને મોકલતી હતી. માધુપુરા પોલીસે એનડીપીએસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવેલ એમ.આર.ટ્રાવેલ્સ મારફતે છેલ્લા 3 મહિનાથી બેંગ્લોરથી નશીલા દ્રવ્યનું તત્વ ધરાવતી કફ સીરપ દવાઓ જથ્થો પહોંચાડવામાં આવતો હતો. થોડા દિવસ પહેલા જ પોલીસને માહિતી મળી હતી, રેકી કરી રેડ કરતા પાર્સલમાં કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો. જે એફએસએલ અને ડ્રગ્સ અધિકારીની હાજરીમાં પાંચ બોક્ષ ખોલતા તેમાંથી 592 બોટલ કફ સીરપ મળી હતી.તપાસ કરતા મુંબઈની અજન્તા લખેલા પાંચ પાંચ બોક્ષમાંકફ સીરપ હતી. 73 હજાર કિંમતની બોટલો કબ્જે કરવામાં આવી. જે તપાસમાં બિલ સાથે લખેલા લાઇસન્સ નંબરની ઔષધ નિયમન તંત્રમાં તપાસ કરતા બાવળા મેડિકલ સ્ટોર નામ સામે આવ્યું છે. જે પાર્સલમાં કફ સીરપ મગાવનાર કિરણસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાવળાનો કિરણસિંહ નામનો શખ્સ વોટ્સએપથી બીલ મોકલતો તે બતાવીને શાહીબાગથી તુલસી મેડિકલ અને શિવ મેડિકલ નામના પાર્સલ ઓટો રિક્ષામાં બાવળા લઈ જવાતા હતા. બાવળા નજીક પહોંચતા તુલસી હોટલ પાસે કિશનસિંહ કારમાં આવી પાર્સલ લઈ જતો હતો. એક ફેરાના 2000 ભાડા લેખે અત્યાર સુધીમાં 30 થી 40 વખત એમ.આર.ટ્રાવેલ્સમાં પાર્સલ આવ્યા હતા. જોકે પોલીસ તપાસમાં છેલ્લા 3 મહિનાથી 30થી વધુ વખત પાર્સલ આવ્યા હોવાનું સામે આવ્યું છે..વોન્ટેડ કિરણસિંહ ચૌહાણ નામના વ્યક્તિ સામે બાવળા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ બાવળામાં નાકોર્ટિકસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.આમ નશીલા સિરપનો જથ્થો બિનઅધિકૃત રીતે ટ્રાવેલ્સની બસમાં મંગાવવા અંગે માધુપુરા પોલીસે ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.