અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે શહેર પોલીસે શાંતિ જાળવવા કરી અપીલ, સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ ન ફેલાવવા અપીલ
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો
અમદાવાદ શહેર પોલીસે જાહેર જનતાને કરી અપીલ
ભડકાઉ ભાષણ કે ઉશ્કેરણી જનક ટિપ્પણી કરનાર સામે થશે કાર્યવાહી
અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ન્યાયની માગ સાથે લોકો રસ્તા પર આવી ગયા છે તો બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ આ મામલે યુદ્ધ છેડાઇ રહ્યા છે. લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસે લોકોને શાંતિની અપીલ કરી છે. પોલીસે સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ ન ફેલાવવા અપીલ કરી છે.
પોલીસ કરશે સખત કાર્યવાહી
અમદાવાદ શહેર પોલીસે એક મેસેજ જાહેર કરતા અપીલ કરી છે કે આ મામલે સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ ન ફેલાવવામાં આવે. જો કોઇ ભડકાઉ ભાષણ કે ઉશ્કેરણીજનક ટિપ્પણી સામે આવશે તો પોલીસ તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરશે..દરિયાપુર પોલીસે જનતાને અપીલ કરતો આવો મેસેજ કર્યો છે. તેમજ પોલીસે લોકોને અફવાથી દૂર રહેવા અપીલ પણ કરી છે. સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે લોકો પણ શાંતિ જાળવે તથા સુલેહ જળવાય તે માટે પોલીસ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે.
એક યુવકની કરી અટકાયત
મળતી જાણકારી પ્રમાણે, કિશન ભરવાડ હત્યા કેસ મામલે પોલીસે યુવાનની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે,આ યુવકે હત્યા સંદર્ભે સોશિયલ મીડિયામાં મુકી હતી ભડકાઉ પોસ્ટ મુકી હતી. જેને લઈને પોલીસ એક્શનમાં આવી અને યુવકની અટકાયત કરી છે. જણાવી દઈએ કે, પશ્ચિમ કચ્છ પોલીસે યુવકની કલમ 153-B હેઠળ અટકાયત કરી હતી.
વિવાદિત પોસ્ટ મુકશો તો કાયદેસરની કડક કાર્યવાહી થશે: પોરબંદર પોલીસ
ધંધુકામાં થયેલ હત્યાના તાર પોરબંદર સુધી પહોચ્યા છે. જમાલપુરનો મૌલવી અયુબ સાજન નામના યુવકની હત્યા કરવા પોરબંદર ગયો હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોરબંદર પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. અને જાહેર જનતાને ચેતવણીરૂપી અપીલ કરી ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મૂકવા અપીલ કરી હતી. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં ધર્મ-જ્ઞાતિ વિરુદ્ધ પોસ્ટ ન મુકવામાં આવે અને જો કોઈ પણ જિલ્લામાં આ હરકત કરશે તો હવે પોલીસ ધર્મ-જ્ઞાતિ વિરુદ્ધ પોસ્ટ મુકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે તેવી ચીમકી પણ અસામાજિક તત્વોને આપી છે. પોરબંદર પોલીસ દ્વારા વિવિધ ટિમો પણ બનાવવામાં આવી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર પોલીસ હાલ વોચ રાખી રહી છે.
સમગ્ર ઘટના શું હતી ?
ધંધુકા ખાતે ગત મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો.