શાહીબાગના વીઆઇપી ગણાતા રોડ પર સતત પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે
અમદાવાદ શહેરમાં ઘાતકી હિથયારો લઇને ફરતા કેટલાય ટપોરીઓને સબક શીખવવા માટે પોલીસ મેદાનમાં ઊતરી છે. રોજ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ટપોરીગીરી અને રોમિયોગીરી કરતા તથા ધૂમ સ્ટાઇલથી વાહન ચલાવતા યુવકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. શહેરની શાહીબાગ પોલીસે પણ જજના ઘર બહાર ટપોરીની જેમ બેસી રહેતા યુવકોને પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું છે. ગાયત્રી મંદિર રોડ પરનાં કેટલાંક સરકારી મકાનોમાં કેટલાક ન્યાયાધીશ અને કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહે છે. ગાયત્રી મંદિરની બાજુમાં સિર્કટ હાઉસ પણ આવેલું છે, જ્યાં વીવીઆઇપી લોકોની મૂવમેન્ટ રહેતી હોય છે. આવી સ્થિતિમાં કેટલાક યુવકો ટપોરીગીરી કરતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું.
પોલીસે અટકાયત કરી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક જજે પોલીસને ફરિયાદ કરી હતી કે તેમના મકાનની બહાર યુવકો મસ્તી કરીને શાંતિ ડહોળવાની કોશિશ કરી રહ્યા છે. આ ઘટનાની ગંભીરતાને લઇ શાહીબાગ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું હતું અને નવયુવાનો જે રોમિયો અને ટપોરી બનવા નીકળી પડતા હોય છે તેમને શબક શિખવાડવાનું શરૂ કરી દીધું હતું. ગઇ કાલે જજના મકાનની બહાર નંબર પ્લેટ વગરનું એક્ટિવા લઇને એક યુવક બેઠો હતો, જેની પોલીસે અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશનમાં લઇને આવ્યા હતા. યુવક 18 વર્ષનો હતો, જેથી તેના વિરુદ્ધ કોઇ ગુનો દાખલ થાય નહીં અને તેને શબક મળી જાય તે રીતે તેને સમજાવીને ઘરે મોકલી દીધો હતો. યુવકે પોલીસની સલાહને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નંબર પ્લેટ પણ પોતાના વિહિકલ પર લગાવી દીધી હતી.
પોલીસે શાહીબાગના સતત પેટ્રોલિંગ શરૂ કર્યું
આ સિવાય બે દિવસ પહેલાં એક ધનિક પરિવારનો યુવક છરી લઇને ફરતો હતો, જેની શાહીબાગ પોલીસે અટકાયત કરી લીધી હતી અને તેના વિરુદ્ધ હિથયાર રાખવાની ફરિયાદ નોંધીને જામીન પર છોડી દીધો હતો. વીઆઇપી રોડ પર કેટલાંક અસામાજિક તત્ત્વો લુખ્ખાગીરી કરતાં હોય છે અને સમાજની શાંતિ ડહોળાય તેવી સ્થિતિ ઊભી કરતાં હોય છે, જેથી પોલીસ તેમના વિરુદ્ધ લાલ આંખ કરવાનું શરૂ કર્યું છે. પોલીસને લાગશે તો ગુનો દાખલ કરશે અને જો પોલીસને લાગશે કે યુવક સુધરી જાય તેમ છે તો તેને સમજાવીને છોડી મૂકવામાં આવશે. હાલ પોલીસે શાહીબાગના વીઆઇપી ગણાતા રોડ પર સતત પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે અને વાહનમાં એકલદોકલ બેસી રહેલા યુવકોની પણ પૂછપરછ કરી રહી છે.