સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું
પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી બે મહત્ત્વની ચર્ચા ચાલી રહી છે, જેમાંથી એક છે કે અમદાવાદમાં નવા પોલીસ કમિશનર કોણ આવશે, જ્યારે બીજી ચર્ચા એ છે કે ઇતિહાસમાં પહેલી વખત ઇન્ચાર્જ પોલીસ કમિશનરના નેતૃત્વમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે. પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થયા બાદ તેમની જગ્યાએ ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંહને ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો તાજ પહેરાવવામાં આવ્યો છે. જ્યાં સુધી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ગૃહ વિભાગ સત્તાવાર નામ જાહેર ના કરે ત્યાં સુધી પ્રેમવીરસિંહ ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવશે.
બે મહિના પહેલાંથી પોલીસ એલર્ટ મોડમાં
રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને પોલીસ દરેક પાસાંઓ પર માઇક્રોલેવલે કામ કરી રહી છે. 20 જૂને અષાઢી બીજ છે ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની રથયાત્રા શહેરમાં નીકળશે. દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે, જેને જોવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ લોખંડી સુરક્ષા ગોઠવી દેતી હોય છે. રથયાત્રાના બે મહિના પહેલાંથી પોલીસ એલર્ટ મોડ પર આવી જતી હોય છે અને દરેક પાસાંઓ પર ધ્યાન આપીને બંદોબસ્તનો માસ્ટર પ્લાન બનાવતી હોય છે. હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, સુરક્ષાદળની ટીમ સિહતના જવાનો રથયાત્રામાં તહેનાત હોય છે.
મીટિંગનો દોર શરૂ
રથયાત્રાના બંદોબસ્તનું નેતૃત્વ અમદાવાદ પોલીસ કમિશનરના શિરે હોય છે, જેના આદેશથી પોલીસ કામગીરી કરતી હોય છે. આ વખતે 146મી રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે, જેના બંદોબસ્તની જવાબદારી ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહના શિરે આવી છે. રથયાત્રાના બે મહિના પહેલાંથી ક્રાઇમ બ્રાંચ, પોલીસ હેડક્વાર્ટરમાં મીટિંગનો દોર શરૂ થઇ ગયો છે. રથયાત્રા પૂર્વે તમામ પોલીસ કર્મચારીઓ તેમની કામગીરી બખૂબી સંભાળી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચ પિસ્તોલ, તમંચો તેમજ ઘાતક હથિયારો પકડવાની કામગીરી કરી રહી છે ત્યારે એસઓજી ડ્રગ્સ પકડવામાં વ્યસ્ત છે.
શહેરમાં લોખંડી સુરક્ષા ગોઠવી દેવામાં આવી
આ સિવાય શહેર પોલીસ હથિયાર લઇને ફરતા ટપોરીઓને ઝડપી રહી છે. આ ઉપરાંત કેટલાક ગુનેગારોને પાસા હેઠળ ધકેલી દીધા છે, જ્યારે કેટલાકને તડીપાર કરવામાં આવ્યા છે. જેમ જેમ રથયાત્રા નજીક આવે તેમ તેમ અમદાવાદને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી રહ્યું છે. રોજ રાતે અમદાવાદમાં એન્ટ્રી થતા તમામ રસ્તા પર બેરિકેડ મૂકીને સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે શહેરમાં પણ લોખંડી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. છેલ્લા બે દાયકામાં ક્યારેય પણ રથયાત્રાના બંદોબસ્તની જવાબદારી ઇન્ચાર્જ પોલીસ કમિશનરે નથી સંભાળી. પહેલી વખત ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ રથયાત્રાની સંપૂર્ણ જવાબદારી સંભાળશે.
પ્રેમવીરસિંહના શિરે રથયાત્રાની સુરક્ષા
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પ્રેમવીરસિંહ, અજય ચૌધરી, ચૈતન્ય માંડલીક, અશોક મુનિયા તેમજ કાનન દેસાઇને બાદ કરતાં લગભગ તમામ આઇપીએસ અધિકારીઓ નવા છે, જેઓ પહેલી વખત રથયાત્રાનો બંદોબસ્ત સંભાળશે. અમદાવાદમાં વર્ષ 2002થી કુલ 13 પોલીસ કમિશનર બદલાયા છે, જેમાં મોહન ઝા માત્ર થોડા મહિના માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર બન્યા હતા. આ સિવાય જો પોલીસ કમિશનર રજા ઉપર જાય તો તેમની જગ્યા પર ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંખ્યાબંધ પોલીસ અધિકારીઓ બની ચૂક્યા છે.
ડ્રોનથી સઘન ચેકિંગ શરૂ કરાયું
રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર ડ્રોનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ધાબા પર કેટલાક લોકોએ કાચની બોટલો તેમજ પ્રતિબંધિત ચીજવસ્તુઓ છુપાવેલી હોય તો ડ્રોનની મદદથી તે જોવામાં આવે છે. આ સિવાય સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે, જ્યારે શંકાસ્પદ લોકોનું પણ ચેકિંગ થઇ રહ્યું છે ત્યારે બોડીવોર્ન કેમેરા પણ એક્ટિવ કરી દેવાયા છે. આ રથયાત્રામાં ટેક્નોલોજી ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બંધ સીસીટીવી કેમેરા પણ ચાલુ થઇ ગયા હોવાનું પોલીસ જણાવી રહી છે.