કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તેના પગલે ઓક્સિજન અને કોરોનાની સારવારમાં વપરાતી દવાઓ અને બેડની અછત સર્જાઇ છે ત્યારે અમદાવાદ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓક્સિજનની અછત વચ્ચે મોટા સમાચાર
એસ્કોર્ટ સાથે અમદાવાદ લવાશે ઓક્સિજન
અમદાવાદ મનપાએ પોલીસને સોંપી જવાબદારી
અમદાવાદમાં કોરોનાને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ઓક્સિજનની માગમાં પણ વધારો થયો છે. ત્યારે અમદાવાદ મનપા દ્વારા ઓક્સિજનનો જથ્થો બહારથી લાવવામાં આવશે.
પોલીસને સોંપાઇ જવાબદારી
આ માટેની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે. એટલે કે પોલીસ એસ્કોર્ટ સાથે લાવવામાં આવશે.
ભરૂચથી લવાશે ઓક્સિજન
ઉલ્લેખનીય છે કે, આ માટે અમદાવાદ પોલીસના 7 અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઓક્સિજન ભરૂચથી અમદાવાદ લાવવામાં આવશે અને અહીંથી ઓક્સિજન લાવતી ટ્રકોને પોલીસ એસ્કોર્ટ સાથે લાવશે.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,553 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 125 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 4,802 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,50,865 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 125 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 125 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5740 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 361 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 84,126 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 495 નવા કેસ નોંધાયા હતા.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4821 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 85 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1849 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 491 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 475 કેસ, જ્યારે ગ્રામ્યમાં 256 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 397 કેસ અને ગ્રામ્યમાં 119 કેસ નોંધાયા છે.