કોરોના વાયરસે ફરી એકવાર માંથું ઉંચક્યું છે. અમદાવાદમાં 60 કલાકનો કરફ્યૂ લાદવાની ફરજ પડી છે. દિવાળી બાદ વેપાર, ધંધાની ગાડી પાટા પર ચડી જશે તેવી ઉજળી આશા રાખી બેઠેલા નાગરિકોને વધુ એક આંચકો પહોંચ્યો છે. કેમ કે નવા વર્ષના છટ્ઠા દિવસે જ અણગમતા સમાચાર સાંભળવા મળ્યા અને એ સાથે જ બજાર બજારમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે અમદાવાદમાં કરફ્યુના પ્રથમ દિવસે જ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
કરફ્યુના દિવસે અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી
પોલીસે જાહેરનામા ભંગના નોંધ્યા અનેક ગુના
પોલીસે કરફ્યુના 22 કલાકમાં 315 કેસ કર્યા
દેશભરમાં હાલ કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાલ બે દિવસનો કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કરફ્યુના દિવસે અમદાવાદ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર સામે લાલ આખ કરી છે. પોલીસે કરફયૂના 22 કલાકમાં 315 કેસ અને 343 આરોપીઓની અટકાયત કરીને તેની સામે કાયદાસરની કાર્યવાહી હાથ ધરી છે. અટકાયત કરાયેલા આરોપીઓ પૈકી 1ને કોરોના પોઝિટિવ આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં શનિવાર-રવિવાર 2 દિવસનો સંપૂર્ણ કરફ્યુ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન આવશ્યકની જરૂરિયાત સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. અમદાવાદમાં કરફ્યુની કડકપણે અમલવારી કરવામાં આવી છે.
VTV ન્યુઝની કંટ્રોલ DCP સાથે ખાસ વાતચીત
DCPએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 1863 કેમેરાથી નિરીક્ષણ થઇ રહ્યું છે. કંટ્રોલ રૂમમાંથી પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. 200 જેટલી પોલીસ વાન પેટ્રોલિંગમાં તૈનાત કરવામાં આવી છે.
અમદાવાદ બાદ રાજ્યના અન્ય ત્રણ મેટ્રો શહેરમાં રાત્રી કરફ્યુ
સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રિ કરફ્યુ લાગુ થઇ ચૂક્યો છે. રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાગુ રહેશે. ધંધા, દુકાનો રાત્રે 9 વાગ્યા બાદ બંધ કરાવવામાં આવી છે. શહેરોમાં વાહનોની અવર-જવાર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. જોકે મેડિકલ, પેટ્રોલ પંપ અને ડેરીઓ ચાલુ રહેશે. રાત્રે સીટી બસ, ST બસની અવર જવર પર પણ પ્રતિબંધ રહેશે.