કોઇ પણ ઋતુમાં દિવસ રાત જોયા વગર ૨૪ કલાક ખડે પગે તહેનાત રહીને આપણી સલામતી માટે ફરજ બજાવતા સંનિષ્ઠ પોલીસ કર્મચારીઓ કેટલાક આંગળીના વેઢે ગણાય એવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના લીધે બદનામ થાય છે અને સમગ્ર પોલીસ તંત્રને લોકો શંકાની નજરે જુવે છે. આવા જ ભ્રષ્ટ પોલીસ કર્મચારી વિરુદ્ધ એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)માં ફરિયાદ થઇ છે જેના પર બેકાર યુવક પાસેથી દર અઠવાડિયે પાંચ હજાર રૂપિયા માગવાનો આરોપ છે.
માધુપુરા વિસ્તારમાં આવેલા રામલાલના ખાડામાં રહેતા શાબિર રફીકભાઇ શેખે એન્ટી કરપ્શન બ્યૂરોમાં મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ વિરુદ્ધમાં દમદાટી આપીને રૂપિયા માગવાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે શાબિર કામ કરતો હતો તે સમયે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ હપતો લેવા માટે આવતો હતો. મહાવીરસિંહની માધુપુરા પોલીસ સ્ટેશનથી બદલી થતાં તે હાલ મહિલા પોલીસ સ્ટેશનનાં એસીપી મિની જોસેફની સરકારી ગાડી ચલાવે છે.
જુગારનો અડ્ડો બંધ હોવાના કારણે શાબિર બેકાર થઇ ગયો છે અને નાની મોટી મજૂરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા પંદર દિવસથી મહાવીરસિંહ શાબિરના ઘરે આવીને ‘ તું સટ્ટો રમાડ-બેટિંગ લે કંઇ પણ કર મને અઠવાડિયે પાંચ હજાર આપ ’ તેમ કહીને દમદાટી આપી હતી. બે દિવસ પહેલાં અચાનક મહાવીરસિંહ શાબિરના ઘરે આવી પહોંચ્યો હતો અને કહ્યું હતું કે મને પાંચ હજાર રૂપિયા આપ.
તું અડ્ડો ચલાવે છે તારે આપવા પડશે નહીં તો તને ઊંધોં કરી દઇશ તેવી ધમકી આપી હતી. મહાવીરસિંહની દમદાટીથી કંટાળીને શાબિરે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી છે. આ મામલે મહિલા પોલીસ સ્ટેશનના એસીપી મિની જોસેફે જણાવ્યું છે કે મહાવીરસિંહ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. મહાવીરસિંહે જુગારના અડ્ડા મામલે રૂપિયા માગ્યા કે નહીં તે મામલે તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શહેરના જે તે વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા પર સ્થાનિક પોલીસ તેમજ એસીપી, ડીસીપી , ક્રાઇમબ્રાંચ તેમજ વિજિલન્સ રેડ પાડી શકે છે. જ્યારે દારૂ જુગારના અડ્ડા પર રેડ પડે નહીં તે માટે બુટલેગરો આ તમામ ડિપાર્ટમેન્ટમાં હપતા પહોંચાડતા હોય છે.
મહિલા પોલીસનું કામ માત્રને માત્ર પોલીસ સ્ટેશનમાં આવતી ફરિયાદોની તપાસ કરવાનું છે. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ આ રીતે જુગારના અડ્ડાના નામે રૂપિયા ઉઘરાવવા જાય તો પોલીસની છબી ખરડાય છે. ફરિયાદીએ કરેલા આરોપમાં કાંઇ પણ તથ્ય હોય તો મહાવીરસિંહ વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.