અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે 31st ડિસેમ્બરની ઉજવણી અને માસ્ક મુદ્દે નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે, કોરોનાકાળમાં ક્રિસમસના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શહેર પોલીસ સતર્ક થઇ છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી હવે જો અમદાવાદમાં 31stની ઉજવણી કરવાના હો તો ચેતી જજો.
31 ડિસેમ્બરે નહીં થાય કોઈ પાર્ટી
અમદાવાદ પોલીસ નહીં આપે કોઈ મંજૂરી
ચર્ચમાં પણ નાતાલ નહીં ઉજવી શકાય
અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણી આ વર્ષે નહીં કરી શકાય. નવા વર્ષને આવકારવા કોઈ પાર્ટીનું આયોજન નહીં કરી શકાય. પોલીસ દ્વારા જાહેર કાર્યક્રમ કે પાર્ટીની મંજૂરી નહીં મળે. 31મી ડિસેમ્બરની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, અમદાવાદમાં ખાસ ડ્રાઇવ રાખવામાં આવશે. દરેક પાર્ટી પ્લોટમાં પોલીસ ચેકિંગ કરશે. 31 ડિસેમ્બરને લઈ પોલીસ એલર્ટ થઇ છે. ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે. ચર્ચમાં નાતાલની ઉજવણી પણ નહીં કરી શકાય. રાત્રે 9 વાગ્યા બાદ કડક ચેકિંગ કરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, 31મી ડિસેમ્બરે બપોરે પણ પાર્ટીનું આયોજન નહીં કરી શકાય. ચર્ચમાં નાતાલની ઉજવણી ન કરવા પોલીસે સૂચના આપી છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોના નિયમો હેઠળ 188 લોકો સામે કાર્યવાહી કરાઇ. 47 લોકો સામે ફરિયાદો નોંધવામાં આવી છે. વિદેશથી આવતા તમામ લોકોના એડ્રેસ નોંધવામાં આવ્યા છે.
માસ્ક ન હોય તો રૂમાલ પહેરી શકાય છેઃ પો. કમિશનર
અમદાવાદમાં માસ્કને બદલે રૂમાલથી મોં ઢાંકવાને લઇને પોલીસ કમિશનરનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, માસ્ક ન હોય તો રૂમાલ પહેરી શકાય છે. રૂમાલ અંગે મેમો આપવા બદલ તપાસ કરવામાં આવશે. 12 ડિસેમ્બરે એક રાહદારીને રૂમાલ પર મેમો આપવામાં આવ્યો હતો.