રાજ્યના પતંગ રસિયાઓ ઉત્તરાયણને લઇ અસમંજસમાં છે. તેવામાં હવે અમદાવાદના પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉતરાયણને લઇ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં આદેશ કરાયા છે કે, અમદાવાદમાં જાહેર રોડ પર પતંગ નહીં ઉડાવી શકાય. જો કોઇ જાહેર રોડ પર પતંગ ઉડાવશે તો કાર્યવાહી થશે.
10થી 31 જાન્યુઆરી સુધી રોડ પર પતંગ નહી ઉડાવી શકાય
જાહેર રોડ પર પતંગ ચગવનાર સામે થશે કાર્યવાહી
થોડા દિવસોમાં ઉત્તરાયણ મુદ્દે રાજ્ય સરકાર નિયમો જાહેર કરશે
અમદાવાદીઓ અને ગુજરાતીઓને મનપસંદ તહેવાર ઉત્તરાયણ નજીક આવી રહી છે. ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. ત્યારે જાણો આ જાહેરનામામાં શું રહેશે પ્રતિબંધ...
ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 10થી 31 જાન્યુઆરી સુધી રોડ પર પતંગ નહીં ઉડાવી શકાય. જાહેર રોડ પર પતંગ ચગાવનાર સામે કાર્યવાહી થશે. સાથે જાહેર રોડ પર પતંગ લઇ દોડનાર સામે પણ કાર્યવાહી થશે. જાહેરનામાના ભંગ બદલ કલમ 188 અને 131 મુજબ ગુનો નોંધાશે. થોડા દિવસોમાં ઉત્તરાયણ મુદ્દે રાજ્ય સરકાર નિયમો જાહેર કરશે.
ચાઇનીઝ લોન્ચર, તુક્કલના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ
મહત્વનું છે કે, ઉત્તરાયણને લઇને આ અગાઉ પણ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જણાવાયું હતુ કે, ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. વધુમાં અમદાવાદમાં રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ કરાયો છે. તો લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી થશે. તો સાથે જાહેર રસ્તાઓ પર પશુઓના ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકાયો છે. જો ઉત્તરાયણમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થશે તો પણ ગુનો નોંધવામાં આવશે. કાર પાવડર, પ્લાસ્ટિક કે પાકા સિન્થેટીક મટિરિયલનો નહીં વાપરી શકાય.
અમદાવાદની પોળમાં પતંગ ચગાવવાની પરવાનગી મળે તેવી માંગ
જોકે આ વર્ષે અમદાવાદની પોળમાં વિદેશી પતંગબાજો નહિ આવે. જેને લઇને સરકાર પરવાનગી આપે તેવી પોળવાસીઓની માંગ કરી રહ્યા છે. પરિવારજનો સાથે નિયમો મુજબ પરવાનગીની માંગ કરવામાં આવી રહી છે.
એક ધાબા પર 50થી વધુ લોકો ભેગા નહીં થાય તો ફ્લેટમાં રહેતા લોકો કઈ રીતે ઉજવણી કરી શકશેઃ જનતા
તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નિવેદન બાદ રાજ્યના પતંગ રસિયાઓની મૂંઝવણ વધી છે. પતંગ રસિયાઓ ઉત્તરાયણને લઇ અસમંજસતામાં છે. ઉત્તરાયણ મુદ્દે DyCM નીતિન પટેલે જણાવ્યું હતું કે, 'એક ધાબા પર 50થી વધુ લોકો એકઠા નહીં થવા દેવાય. ટૂંક સમયમાં નિયમોની જાહેરાત કરાશે. વધુ લોકો ધાબા પર ભેગા ન થાય તે જરૂરી છે. એક આગાસી પર 50થી વધુ લોકો એકત્ર નહીં થવા દેવાય.' ત્યારે જનતાને સવાલ થાય છે કે, એક ધાબા પર 50થી વધુ લોકો ભેગા નહીં થાય તો ફ્લેટમાં રહેતા લોકો કઈ રીતે ઉજવણી કરી શકશે. જનતાએ રાજકીય પાર્ટીના નેતાઓ પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે, રાજકીય પક્ષોની રેલી થાય તો તહેવારની ઉજવણી કેમ ન થાય ?
હાઈકોર્ટે સરકારને કર્યો આદેશ
બીજી તરફ ઉતરાયણની ઉજવણીનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કોરોનામાં ઉતરાયણની ઉજવણી પર રોક લગાવવા માગ કરાઇ છે. પતંગ બજારમાં ભીડ એકઠી ન થાય તે માટે અરજદારે માંગ કરી છે. સરકાર જરૂરી માર્ગદર્શિકા જાહેર કરે તેવી માંગ છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. શુક્રવાર સુધીમાં સમગ્ર મામલે વલણ સ્પષ્ટ કરવા સૂચના અપાઇ છે. 8 જાન્યુઆરીએ આગામી સુનાવણી થશે.